Get The App

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો 1 - image

Parliament Winter Session news : સંસદમાં શિયાળા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે લગભગ 19 દિવસનો રહેશે પરંતુ તેમાં 15 જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઈતિહાસ બનાવશે. વિપક્ષો દળો આ વખતે સંસદ સત્રમાં SIR, આંતરિક સુરક્ષા અને લેબર કૉડ અંગે ચર્ચાની માગ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર ઈચ્છે છે કે વંદે માતરમ અંગે ચર્ચા થાય. 

Parliament Winter Session Live:

વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત 

SIR પર ચર્ચાની માગ કરતા વિપક્ષે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. 

સપા પ્રમુખે BLOનો મુદ્દો ઊઠાવ્યો 

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે દેશમાં લોકશાહી ત્યારે જ મજબૂત થશે જ્યારે આપણો મતદાનનો અધિકાર છીનવાઈ નહીં જાય. તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે BLO ને પણ ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કોઈ તાલીમ લીધી નથી. SIR લોકશાહીને મજબૂત બનાવવા માટે હોવો જોઈએ, પરંતુ ભાજપ શક્ય તેટલા વધુ મતો કાપવા માંગે છે.

પીએમ મોદીના ડ્રામાવાળા નિવેદન પર વળતો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ નાટકમાં ભાગ લેતા નથી તેવા નિવેદન પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે કહ્યું, "તમે બધા જાણો છો કે નાટક કોણ રચી રહ્યું છે. શું આ BLO પોતાનો જીવ ગુમાવી રહ્યું છે તે નાટક છે? ભાજપ, પોલીસ સાથે મળીને, નાટક કરે છે. તેઓ મતદારો પર પિસ્તોલ તાકે છે." સપા વડાએ કહ્યું કે ભાજપ પાસે એવા સંસાધનો છે જેનો કોઈ મુકાબલો કરી શકે નહીં. ભાજપે તેમના માટે કામ કરવા માટે નોઈડા સ્થિત એક મોટી કંપનીને ભાડે રાખી છે. તેમની પાસે દરેકની મતદાર યાદીઓ છે. ભાજપ 2024 માં જ્યાં હારી ગયો હતો ત્યાં બૂથ પર મત કાપવા માંગે છે. અત્યારે લગ્નની સિઝન છે, તો SIR કેમ કરવામાં આવી રહી છે? ચૂંટણી પંચ ભાજપનું સ્વપ્ન પૂરું કરી રહ્યું છે. 

રાજ્યસભામાં પણ હોબાળો 

રાજ્યસભામાં જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ અને ગૃહના વિપક્ષના નેતા  મલ્લિકાઅર્જુન ખડગેએ તેમના સંબોધનમાં કહ્યું કે હું સભાપતિને અપીલ કરું છું કે તેઓ સંતુલના જાળવવાનો પ્રયાસ કરે અને સત્તા તથા વિપક્ષ બંને તરફ ધ્યાન આપે. ખડગેના આ નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે કિરેન રિજિજુએ ખડગે પર ભૂતકાળના સભાપતિઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

SIR મુદ્દે અખિલેશ યાદવે સરકારને ઘેરી  

SIR મુદ્દે ધારદાર સવાલો કરતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણી પંચને ઘેર્યા હતા. તેમણે સવાલ કર્યો કે આખરે કેમ SIR કરવામાં આટલી ઉતાવળ કરવામાં આવી રહી છે. BLO પર દબાણ વધારવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક આત્મહત્યા કરવા મજબૂર થઇ રહ્યા છે. 

લોકસભામાં જોરદાર હોબાળો, કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત 

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. વિપક્ષના સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં ધસી ગયા. સ્પીકર ઓમ બિરલાએ હોબાળા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "આ રીતે ગૃહને વિક્ષેપિત કરવું યોગ્ય નથી. તમારા માટે પ્લેકાર્ડ સાથે આવવું યોગ્ય નથી. આ સંદેશ સમગ્ર વિશ્વને મોકલવો જોઈએ કે ભારતની સંસદ સક્રિય રીતે કામ કરે છે અને બધા સાંસદો ભાગ લે છે." સ્પીકરે હોબાળો મચાવનારા સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવા અપીલ કરતા કહ્યું કે આ પ્રકારનો વિક્ષેપ યોગ્ય નથી. સ્પીકરની અપીલની સભ્યો પર કોઈ અસર થઈ નહીં, અને ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું.

પીએમ મોદીએ રાજ્યસભામાં સભાપતિનું કર્યું સ્વાગત, લોકસભામાં હોબાળો શરૂ 

રાજ્યસભામાં પીએમ મોદીએ સભાપતિ અને ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું હતું. જ્યારે બીજી બાજુ લોકસભામાં પ્રશ્નકાળની શરૂઆત થતાં જ વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. મોટાભાગના સભ્યો વેલમાં આવી ગયા અને નારેબાજી કરવા લાગ્યા હતા.  ત્યારે સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને અપીલ કરી કે આ ગૃહ ચર્ચા અને સંવાદ કરવા માટે છે. 

વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર 

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી કાર્ય કરી શકે છે. આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યમાં વધુ ઊર્જા ભરવાની તક છે. આ સાથે પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ સત્ર હારની નિરાશા કે વિજયના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. અહીં નાટક નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.


રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી : પીએમ મોદી 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી છે. ગૃહ હોબાળા માટે નથી. સૂત્રોચ્ચાર માટે આખો દેશ ખાલી છે. ગૃહમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. હું વિપક્ષને સુચન કરવા તૈયાર છું કે પરફોર્મ કેવી રીતે કરી શકાય. હારની હતાશામાંથી બહાર આવો. વિપક્ષ તેની વ્યૂહરચના બદલે. પોતાની ફરજ નિભાવે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઇ રહી છે.