Parliament Monsoon Session : સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષોએ ભારે હંગામો કર્યો છે, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ (23 જુલાઈ) સુધી સ્થગિત કરી દેવાઈ છે. સત્રના પ્રથમ દિવસે વિપક્ષે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ ઉઠાવી હતી, ત્યારબાદ ભાગે હંગામાના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. જોકે સોમવારે (21 જુલાઈ) ચર્ચા બાદ રાજ્યસભાએ શિપિંગ ક્ષેત્રને લગતા ‘કેરેજ બિલ 2025’ને ધ્વનિ મત દ્વારા મંજૂરી આપી છે.
બંને ગૃહોમાં બુધવાર સુધી કાર્યવાહી સ્થગિત
આજે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે. વિપક્ષના સાંસદોએ બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ પર જોરદાર હંગામો કર્યો હતો. વિપક્ષોએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા મુદ્દે પણ હંગામો કર્યો હતો. ગૃહોમાં બિહારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-મતદારોની યાદીનું પુન:નીરિક્ષણ) મુદ્દે પણ હંગામો થયો હતો. આજના દિવસે કુલ ત્રણ વખત ગૃહની કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિપક્ષના હંગામો અને વિરોધ-પ્રદર્શનના કારણે થોડી જ મિનિટોમાં કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી.
વિપક્ષી સાંસદોએ બેનર સાથે દેખાવો કર્યા
સત્ર શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાની માંગણી સાથે ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. બેનરો સાથે વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોએ સરકાર પર સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા ટાળવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે, મારો બંધારણીત અધિકાર છતાં મને ગૃહમાં બોલવા દેવાતો નથી.


