જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત : એક અધિકારી સહિત 5 ભારતીયોએ જીવ ગુમાવ્યો
Ind vs Pak news | આતંકવાદ સામે ભારતની બદલાની કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે જેનાથી અકળાઈને પાડોશી દેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તેના મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીનું મોત થયું છે, જેની માહિતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી છે.
માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા આખી રાત રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં ભારે હુમલા કરવામાં આવ્યા હતા જેના પગલે પાંચ લોકો શહીદ થયા હતા. જ્યારે અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ થનારાઓમાં રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશ્નર રાજ કુમાર થાપાનો પણ સમાવેશ થતો હતો. તેઓ પાકિસ્તાન દ્વારા કરાયેલા ભારે તોપમારામાં શહીદ થયા હતા. તેમના ઘરને નિશાન બનાવીને હુમલો કરાયો હતો.
ઓમર અબ્દુલ્લાહે કરી ટ્વિટ
જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાહે X પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “રાજૌરીથી દુઃખદ સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવી દીધા. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં ઓનલાઇન બેઠકમાં પણ હાજરી આપી હતી. આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાનીઓના નાપાક ગોળીબારમાં રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં આપણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશ્નર રાજ કુમાર થાપા શહીદ થઈ ગયા. જાનમાલના આ ભયંકર નુકસાન પર આઘાત અને દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.''