મોં સંભાળીને બોલો, નહીંતર પરિણામ ખતરનાક હશે... ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
MEA On Pakistan And USA: ભારતે આજે ગુરુવારે પાકિસ્તાનના નેતૃત્વ પર આરોપ મૂક્યો હતો કે, તે પોતાની ખામી-નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે કોઈપણ ખોટું પગલું ભર્યું તો તેને દર્દનાક અને ગંભીર પરિણામ ભોગવવા પડશે. વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંત્રાલયના સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપવા એ પાકિસ્તાનના નેતાઓની જાણીતી રીત છે. ભારત વિરુદ્ધ યુદ્ધ માટે ઉશ્કેરણીજનક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
ઈસ્લામાબાદને આપી ચેતવણી
જયસ્વાલે ઈસ્લામાબાદને ચેતવણી પણ આપી છે કે, ઈસ્લામાબાદને તેના વાણી-વર્તનમાં શાંતિ રાખવા સલાહ છે. કોઈપણ પ્રકારનું દુઃસાહસ દુઃખદાયક પરિણામો આપશે. તાજેતરમાં જ તેમણે તેનો ડેમો (ઓપરેશન સિંદૂર) જોયો હતો. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુની ધમકી આપી હતી. તેમજ સ્થગિત થયેલી સિંધુ નદી પર બંધ બાંધવા મુદ્દે કહ્યું હતું કે, જો ભારત બંધ બાંધશે તો તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ VIDEO : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પૂરથી ભારે વિનાશ, 15થી વધુના મોત, અનેક ગુમ
ભારત-અમેરિકાના સંબંધો પર બોલ્યા જયસ્વાલ...
જયસ્વાલે ભારત-અમેરિકાના સંબંધો પર ટિપ્પણી કરતાં કહ્યું કે, 'બંને દેશોની ભાગીદારીએ લીડરશીપ અને પડકારોમાં અનેક ફેરફારોનો સામનો કર્યો છે. જો કે, બંને દેશોની ભાગીદારી માટે નવી દિલ્હી હંમેશા એક મહત્ત્વપૂર્ણ એજન્ડા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. અમને અપેક્ષા છે કે, અમે પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આગળ વધીશું.'