ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર
- જયશંકરના વીડિયો સાથે વિપક્ષના આરોપ બાદ સરકારની સ્પષ્ટતા
- જયશંકર કહે છે કે ભારતે પાક.ને ઓપરેશન અંગે અગાઉ જ જાણકારી આપી હતી : રાહુલ
નવી દિલ્હી : ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું તે પહેલા તેની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હોવાનો દાવો કરીને વિપક્ષે કેન્દ્ર સરકાર અને વિદેશમંત્રી એસ. જયશંકરને ઘેર્યા હતા. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. પીઆઇબી ફેક્ટચેક દ્વારા પણ દાવો કરાયો છે કે જયશંકરે આવુ કોઇ નિવેદન નથી આપ્યું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી જયશંકરનો એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે આ વીડિયોમાં જયશંકર કહી રહ્યા છે કે તેમણે પાકિસ્તાનને પહેલા જ કહી દીધુ હતું કે ભારત હુમલો કરવાનું છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માગણી કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો હતો કે હુમલાની જાણકારી અગાઉથી જ પાકિસ્તાનને આપી દેવી ગુનો છે. વિદેશમંત્રીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે ભારત સરકારે આ જાણ કરી હતી. રાહુલે સવાલ કર્યો હતો કે પાક.ને જાણ કરવા માટે કોના તરફથી મંજૂરી અપાઇ હતી? જેના પરિણામે આપણી એરફોર્સના કેટલા વિમાન ગુમાવવા પડયા હતા?
જ્યારે પીઆઇબી ફેક્ટચેકમાં દાવો કરાયો છે કે વિદેશમંત્રી જયશંકરે આવો કોઇ જ દાવો નથી કર્યો. જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરીને એવુ દેખાડવાનો પ્રયાસ થયો કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરતા પહેલા જ તેની જાણ પાક.ને કરી હતી. વિદેશમંત્રીને ખોટી રીતે રજુ કરાઇ રહ્યા છે, તેમણે આવુ કોઇ નિવેદન નથી આપ્યું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પીઆઇબીના ફેક્ટ ચેકને શેર કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે.