પાકિસ્તાનનો 'મિસાઈલ મિસ્ડકૉલ', ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ
India Pakistan Tension: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીના માહોલ વચ્ચે પાકિસ્તાને ચાર વખત મિસાઈલ પરિક્ષણ કરવાની જાહેરાતો કરી છે. પરંતુ આ જાહેરાતો બાદ તે ગાયબ થઈ ગયું છે. અર્થાત તેણે હજી સુધી કોઈ મિસાઈલ પરિક્ષણ હાથ ધર્યું નથી. બીજી બાજુ ભારતીય સેનાએ મોકડ્રીલ અને મિસાઈલ પરિક્ષણો શરૂ કરી દીધા છે.
પાકિસ્તાન દ્વારા ચાર વખત એલાન પણ...
પાકિસ્તાને આ તંગદિલીના માહોલ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં ચાર વખત મિસાઈલ પરિક્ષણ કરવાની જાહેરાત કરી છે. પરંતુ હજી સુધી એક પણ વખત મિસાઈલ પરિક્ષણ કર્યું નથી. 24 એપ્રિલે પાકિસ્તાને જાહેરાત કરી હતી કે, તેણે 24-25 એપ્રિલના કરાચી તટ નજીક વિશેષ આર્થિક ઝોનમાં સરફેસ-ટુ સરફેસ મિસાઈલનું પરિક્ષણ કરશે. પરંતુ હજી સુધી કોઈ પરિક્ષણ જોવા મળ્યું નથી. પાકિસ્તાનની ભૂ-સેના છેલ્લા સાત દિવસથી સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહી છે. બીજી બાજુ ભારતની નૌસેનાએ 30 એપ્રિલથી 3 મે સુધી ગુજરાત તટ નજીક અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરતા ત્રણ ગ્રીન નોટિફિકેશન જાહેર કર્યા છે. તેમજ દરિયાઈ સરહદ પર યુદ્ધ જહાજોને યુદ્ધ માટે સજ્જ બનાવ્યા છે.
નોંધનીય છે, નૌસેનામાં ગ્રીન નોટિફિકેશનનો અર્થ જાહેર નોટિસ થાય છે. જેનો ઉપયોગ જહાજો અને એરક્રાફ્ટને પોતાની ગતિવિધિઓની જાણ કરવા માટે થાય છે. જેમાં એક નિશ્ચિત સમયમાં નિશ્ચિત સ્થળ પર મિસાઈલ ટેસ્ટિંગ અને મોક ડ્રિલ થાય છે. ભારતીય નૌસેનાએ હાલમાં જ પોતાના યુદ્ધ જહાજો પરથી અનેક એન્ટી-શીપ મિસાઈલ પરિક્ષણ પણ કર્યા હતાં. જે સફળ રહ્યા હતાં.
દરિયાઈ સરહદ પર યુદ્ધ જહાજ તૈનાત
ભારતીય નૌસેના અનેક પ્રકારના યુદ્ધાભ્યાસ કરી રહી છે. જેમાં મિસાઈલ ફાયરિંગ અને યુદ્ધાભ્યાસ સામેલ છે. આગામી દિવસોમાં અનેક પ્રદર્શન અને અભ્યાસ કરવાની યોજના છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત તટ પરથી દૂર આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદની નજીક યુદ્ધ જહાજ પણ તૈનાત કર્યા છે. તેમજ પાકિસ્તાન પર ચાંપતી નજર રાખી રહી છે.
આગામી દિવસોમાં આ યુદ્ધાભ્યાસ
સત્તાવાર સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં નૌસેના દ્વારા વધુ અભ્યાસ અને મિસાઈલ ટેસ્ટિંગ થવાની યોજના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતીય નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગ લાંબા અંતરના સટીક આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ્સ, પ્રણાલીઓ અને ચાલક દળની તત્પરતાને પ્રમાણિત કરવા તેમજ પ્રદર્શિત કરવા માટે હતાં. અગાઉ પણ INS સુરતે અરબ સાગરમાં મધ્યમ અંતરે હવામાં જ મિસાઈલને તોડી પાડનારી મિસાઈલ (MR-SAM) વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલીનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. જે આપણી સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે.