Get The App

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે...

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે... 1 - image
Sputnik X
Faisal Niyaz Tirmizi: રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે.

પરમાણુ સુરક્ષા અંગે ભારત-પાકનો ઇતિહાસ

રાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, બંને દેશોએ એકબીજાને ખાતરી આપી છે કે કોઈ પણ સંજોગોમાં એકબીજાના પરમાણુ પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવશે નહીં. વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આ પ્રકારની ગેરંટી ખૂબ જ મહત્વની છે.

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ પર ચિંતા

પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વાત કરતા તિરમિઝીએ કહ્યું કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમે જોયું કે બુશેહર પર હુમલો થયો. જો પરમાણુ પ્લાન્ટ પર સીધો હુમલો થયો હોત, તો તેના પરિણામો માત્ર ઈરાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર ખાડી દેશો માટે ગંભીર હોત. તેમણે આશા વ્યક્ત કરી કે, ઇઝરાયલ આ ઘટના પરથી બોધપાઠ લેશે અને પરમાણુ પ્લાન્ટ્સ હંમેશા સુરક્ષિત રહેવા જોઈએ.

આ પણ વાંચો : યાદ કરો વો દિન... સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી

બ્રિક્સમાં પ્રવેશ અને રશિયાની ભૂમિકા

પાકિસ્તાન હવે બ્રિક્સ (BRICS) સંગઠનનો હિસ્સો બનવા માટે ઉત્સુક છે. તિરમિઝીએ સ્વીકાર્યું કે, રશિયાના ભારત સાથે ગાઢ સંબંધો છે અને રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છે. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાન પહેલેથી જ SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) માં ભારત સાથે ભાગીદાર છે અને હવે બ્રિક્સમાં પણ જોડાવા માંગે છે.

ટ્રમ્પનો દાવો અને ભારતનો જવાબ

મે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષને રોકવામાં ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા અંગેના પ્રશ્ન પર રાજદૂતે કહ્યું કે, ટ્રમ્પે તણાવ ઘટાડવામાં મદદ કરી હતી. જોકે, ભારતે આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, પાકિસ્તાનની વિનંતી બાદ બંને દેશોના DGMO સ્તરની વાટાઘાટો પછી જ સીઝફાયર (સંઘર્ષવિરામ) પર સહમતિ બની હતી, જેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.