ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ
India Pakistan War: ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાં પર હુમલો કરી 90 આતંકવાદીઓને માર્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ હાથ ધરવામાં આવેલી ભારતની સૈન્ય કાર્યવાહીમાં જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકી ઠેકાણાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે. તેની જવાબી પ્રતિક્રિયામાં પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કોઈ કાર્યવાહી હાથ ન ધરવાનો આદેશ આપ્યો છે. પરમાણુ હુમલો અને તાબડતોડ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી રહેલા પાકિસ્તાને પીછેહટ કરી છે.
ભારતના આ હુમલાથી બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત જોવા મળ્યા હતા. જો કે, પાકિસ્તાને યુદ્ધ શરૂ કરતાં પહેલાં જ યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું છે કે, અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરીશું. જો ભારત આગળ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે કોઈ જવાબી કાર્યવાહી હાથ નહીં ધરીએ.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરથી અકળાયેલા પાકિસ્તાનનું LoC પર આડેધડ ફાયરિંગ, 7ના મોત, 38 ઈજાગ્રસ્ત
પહેલાં આકરો જવાબ આપવા બતાવી તૈયારી
ગઈકાલે મોડી રાત્રે 1.30થી 1.45 વાગ્યે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન અને POK માં થયેલા હવાઈ હુમલામાં 90 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે. આ હુમલા પર તુરંત પ્રતિક્રિયા આપતાં ખ્વાજા આસિફે નિવેદન આપ્યું હતું કે, રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનના વિસ્તારોમાં આ હુમલો પોતાના હવાઈ ક્ષેત્રમાંથી કર્યો હતો. જેનો અમે આકરો જવાબ આપીશું. જો કે, આસિફ આકરો જવાબ આપવાની ધમકી બાદ ઘૂંટણિયે થયા હતાં. અને પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ હુમલા પર પ્રતિક્રિયા આપતાં અગાઉ કહ્યું હતું કે, ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધનો આક્રમક જવાબ આપવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પાકિસ્તાનની સેનાએ પણ ભારતની કાર્યવાહીનો જવાબ આપવાની જાહેરાત કરી હતી. જો કે, હવે તેમના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતાના હથિયારો નાખી દીધા છે, અને કોઈ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી છે.