Get The App

પહલગામ હુમલો પાક.નો ઇન્સાનિયત કાશ્મીરિયત પર પ્રહાર : પીએમ મોદી

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ હુમલો પાક.નો ઇન્સાનિયત કાશ્મીરિયત પર પ્રહાર : પીએમ મોદી 1 - image


- કાશ્મીર ખીણને દેશ સાથે જોડતી રેલવે લાઇનને મોદીની લીલીઝંડી

- મોદીએ વિશ્વના સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરી તિરંગો લહેરાવ્યો, બ્રિજની ઉંચાઇ એફિલ ટાવર કરતા પણ વધુ 

શ્રીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટે અંજી બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ આ પુલ પર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. પહલગામ આતંકી હુમલા બાદ મોદી પ્રથમ વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધુ હતું. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને માનવતા અને કાશ્મીરિયત પર હુમલો કર્યો છે.  

કાશ્મીર ઘાટીની પ્રથમ ડાયરેક્ટર ટ્રેન સેવાનું ઉદ્ધાટન કર્યા બાદ કટરામાં ૪૨ મિનિટના પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીર પર્યટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણો પાડોશી દેશ  (પાકિસ્તાન) માનવતા, સામાજિક એકતા અને આર્થિક સમૃદ્ધિનો વિરોધી છે, એટલુ જ નહીં પાકિસ્તાન ગરીબોની રોજી-રોટીનો પણ વિરોધી છે. ૨૨મી એપ્રીલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલો આતંકી હુમલો તેનું ઉદાહરણ છે, પાકિસ્તાન આ હુમલો કરીને ભારતમાં હિંસા ભડકાવવા અને કાશ્મીરીઓની પરશેવાની કમાણીને પાંગળી કરવા માગતું હતું. પર્યટન ન માત્ર રોજગારી ઉભી કરે છે સાથે જ લોકો વચ્ચે એકતા પણ લાવે છે. 

મોદીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આજે મે જે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું છે તેનાથી જમ્મુ અને કાશ્મીરના વિકાસને ગતિ મળશે. વૈષ્ણોદેવીના યાત્રાળુઓ માટેના બેઝ કેમ્પ કટરામાં વિશાળ રેલીને સંબોધતા મોદીએ પાકિસ્તાનને ઘેર્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાને પહલગામમાં હુમલો કરીને ઇન્સાનિયત અને કાશ્મીરિયત પર હુમલો કર્યો હતો. આ હુમલો કરીને પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના પર્યટનને ખોરવવા માગતું હતું. પહલગામ હુમલા સમયે પર્યટકોને બચાવવા આતંકીઓ સામે બાથ ભીડીને મોતને ભેટનાર આદિલ હુસૈન શાહના હિમ્મતના મોદીએ વખાણ કર્યા હતા. 

આ પહેલા મોદીએ ચિનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ-સ્ટે આંજી બ્રિજનું પણ ઉદ્ધાટન કર્યું હતું, આ બન્ને બ્રિજ ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રની હરણફાળ માનવામાં આવે છે. જે પહેલા મોદીએ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (યુએસબીઆરએલ) ૨૭૨ કિમી ચાલનારી વંદેભારત ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું, આ ટ્રેનના માધ્યમથી પ્રથમ વખત કાશ્મીર ઘાટી સાથે સીધી રેલ કનેક્ટિવિટી શરૂ કરાશે. આ વિવિધ પ્રોજેક્ટ પાછળ આશરે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. જેને બનાવવામાં ૩૬ ટનલો તૈયાર કરાઇ અને ૯૪૩ બ્રિજ બનાવાયા હતા. આ રેલ પ્રોજેક્ટને કારણે કાશ્મીર ઘાટી દેશના અન્ય હિસ્સા સાથે રેલના માધ્યમથી સીધા જોડાશે. મોદીએ ચિનાબ નદી પર વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું, આ બ્રિજની ઉંચાઇ આશરે ૩૫૯ મીટર માનવામાં આવે છે. પેરિસ સ્થિત એફિલ ટાવરથી ૩૫ મીટર ઉંચો છે. મોદીએ આ પ્રસંગે બ્રિજના એક પોઇન્ટ પર જઇને તિરંગો લહેરાવ્યો હતો.   

Tags :