કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું - સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
P. Chidambaram slams Karnataka minister's bulldozer Remark: કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વર દ્વારા ડ્રગ્સ તસ્કરોના ઘરો પર બુલડોઝર કાર્યવાહી કરવા સંબંધિત નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તેની આકરી ટીકા કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટનો હવાલો આપતાં કહ્યું કે મને આવા નિવેદનથી ચિંતા થાય છે અને કાયદાકીય પ્રક્રિયા વિના કોઈનું ઘર તોડવું ગેરકાયદેસર ગણાશે.
સુપ્રીમ કોર્ટના કાયદાનો હવાલો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'મેં કર્ણાટકના ગૃહમંત્રીનું એક રિપોર્ટેડ નિવેદન વાંચ્યું, જેમાં તેઓ ડ્રગ્સ તસ્કરો પર બુલડોઝર કાર્યવાહીની વાત કહી રહ્યા છે. હું આ નિવેદનથી ચિંતિત છું. મને આશા છે કે આ રિપોર્ટ ખોટો હશે.' ચિદમ્બરમે ભારપૂર્વક જણાવ્યું કે, 'સુપ્રીમ કોર્ટનો કાયદો સ્પષ્ટ કરે છે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ઘર તોડવું ગેરકાયદેસર છે અને તેનાથી પરિવારના અન્ય સભ્યોના આવાસના અધિકારનું ઉલ્લંઘન થશે.'
યુપીની નીતિનું ઉદાહરણ આપી ચેતવણી
પી. ચિદમ્બરમે કર્ણાટક સરકારને ચેતવણી આપતાં યાદ અપાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સરકાર દ્વારા ચલાવવામાં આવેલી બુલડોઝર પ્રણાલીનો સતત વિરોધ કરતી રહી છે. તેમણે કહ્યું, 'કર્ણાટક જેવા કોંગ્રેસ શાસિત રાજ્યે ઉત્તર પ્રદેશના માર્ગે ન જવું જોઈએ.'
આ પણ વાંચો: કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત
ગૃહમંત્રી પરમેશ્વરનું નિવેદન શું હતું?
કર્ણાટકમાં ડ્રગ્સ તસ્કરો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે, ગૃહમંત્રી જી. પરમેશ્વરે નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર આ તસ્કરો સામે સખત કાર્યવાહી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અધિકારીઓ માત્ર તસ્કરો પર જ નજર રાખી રહ્યા નથી, પરંતુ જે લોકો તેમને ઘર ભાડે આપે છે તેમની સામે પણ કાર્યવાહી કરી રહ્યા છે. ગૃહમંત્રીએ સંકેત આપ્યો હતો કે સરકાર ડ્રગ્સ તસ્કરોના ઘરોને તોડી પાડવા (બુલડોઝર એક્શન) પર પણ વિચાર કરી રહી છે.








