RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Election results and RJD, Jan Suraj news : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં પ્રચંડ બહુમતી સાથે NDAની જીત થઈ છે, પરંતુ મોટા દાવાઓ સાથે ચૂંટણીમાં ઉતરેલી પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) ખાતું પણ ખોલાવી શકી નથી. પાર્ટીને ઓછામાં ઓછા 15% વોટ મળવાનો અંદાજ હતો, પરંતુ તેને માત્ર 4% વોટ જ મળ્યા. આ કારમી હાર બાદ પાર્ટી હવે તેના કારણોની સમીક્ષા કરી રહી છે.
હારનું મુખ્ય કારણ: RJDનો ડર
શુક્રવારે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય સિંહે હારનું કારણ સમજાવ્યું. તેમણે કહ્યું કે જન સુરાજ પાર્ટી આ પરિણામોથી નિરાશ નથી અને જનતાના મુદ્દાઓ સાથે સતત કામ કરતી રહેશે. ઉદય સિંહે હાર પાછળનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું, "બિહારની જનતાએ અમને સ્વીકાર્યા, પરંતુ અમને વોટ ન મળ્યા. આનું મુખ્ય કારણ એ દેખાઈ રહ્યું છે કે લોકો લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ(RJD)ને સત્તામાં પાછું આવતા જોવા માંગતા ન હતા. લોકોને કોંગ્રેસથી એટલો ડર નથી જેટલો RJDથી છે." તેમણે દાવો કર્યો કે, "RJD સત્તામાં ન આવી જાય, એ ડરને કારણે છેલ્લા સમયે જન સુરાજ પાર્ટીના મતો NDA તરફ શિફ્ટ થઈ ગયા. મતદારોને લાગ્યું કે જો તેઓ જન સુરાજને મત આપશે તો RJDના જીતવાની સંભાવના વધી જશે, તેથી RJDને રોકવા માટે તેમણે NDAને મત આપ્યો."
ચૂંટણીનો એજન્ડા સેટ કરવાનો દાવો
ઉદય સિંહે એવો પણ દાવો કર્યો કે ભલે તેમની પાર્ટી ચૂંટણી જીતી ન શકી, પરંતુ ચૂંટણીનો એજન્ડા જન સુરાજ પાર્ટીએ જ સેટ કર્યો હતો. તેમણે કહ્યું, "અમે ₹2000 સામાજિક સુરક્ષા પેન્શનનો વાયદો કર્યો, ત્યારબાદ જ નીતીશ કુમારે તેને વધારીને ₹1100 કર્યું. રોજગાર અને પલાયનનો મુદ્દો અમે શરુઆતથી જ ઉઠાવી રહ્યા હતા, જે પછી ખુદ વડાપ્રધાન પણ પલાયન રોકવાની વાત કરવા લાગ્યા." પાર્ટી અધ્યક્ષે અંતમાં કહ્યું કે હવે અમારી માંગ છે કે NDAએ જે વાયદાઓ કર્યા છે, તે પૂરા કરે. જન સુરાજ પાર્ટી બિહારને બદલવાના મુદ્દા પર અડગ રહેશે અને જમીન પર કામ કરવાનું ચાલુ રાખશે.









