સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈ અનેક મુદ્દે આપી માહિતી, જાણો શું કહ્યું
Jaishankar On Operation Sindoor : આજે દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશમંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર મહત્ત્વની માહિતી આપી છે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ અને ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા કહ્યું કે, ‘અમે તમામ દેશોને કહ્યું હતું કે, પાકિસ્તાન હુમલા બંધ કરશે, તો અમે બંધ કરીશું. નહીં તો જડબાતોડ જવાબ મળતો રહેશે.’
સિંધુ પર લેવાયેલો નિર્ણય દેશના હિતમાં હશે : જયશંકર
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં અન્ય દેશની ભૂમિકા અંગે જયશંકરે કહ્યું કે, ‘જ્યારે અન્ય દેશોએ અમને પૂછ્યું તો અમે કહ્યું કે, જો તેઓ ફાયરિંગ કરશે તો અમે ફાયરિંગ કરીશું, જો તેઓ અટકશે તો અમે અટકીશું.’ આ ઉપરાંત તેમણે સિંધુ જળ સમજૂતી અંગે કહ્યું કે, ‘જે કોઈપણ નિર્ણય લેવાશે, તે દેશના હિતમાં હશે અને સારો હશે.’
‘બે દેશોની વાતચીત બાદ નિર્ણય લેવાયો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં’
જયશંકરની ટીમના સભ્યોએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ અમેરિકન સેક્રેટરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન મોટો હુમલો કરી શકે છે, તો અમે જવાબ આપ્યો હતો કે, પાકિસ્તાન મોટો હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરવા માટે તૈયાર છીએ.’ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાવાળી પોસ્ટ મામલે વિદેશમંત્રીએ કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનની DGMO વચ્ચે વાતચીત થયા બાદ સંઘર્ષ વિરામનો નિર્ણય લેવાયો છે, તેમાં અન્ય દેશની કોઈ ભૂમિકા નથી.’
આ પણ વાંચો : વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી