'ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે...' ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ind vs Pak Match: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પીડિતોના પરિવારોએ એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો સખત વિરોધ કર્યો છે. પીડિતોનું કહેવું છે કે, જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને મારી નાખ્યા, તો પછી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ કેમ રાખવો જોઈએ.
પહેલા મારા ભાઈને પાછો લાવો...
પહલગામ હુમલામાં પોતાના પિતા અને ભાઈને ગુમાવનારા સાવન પરમારે કહ્યું, 'જ્યારથી ભારત-પાકિસ્તાન મેચના સમાચાર આવ્યા છે, ત્યારથી અમે ખૂબ નિરાશ છીએ. પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો ન જોઈએ. જો મેચ રમવી જ હોય, તો પહેલા મારા 16 વર્ષના ભાઈને પાછો લાવો, જેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર હવે નકામું લાગે છે.'
આ પણ વાંચોઃ 'હું કોઈ દલાલ કે સંત નથી, ઈમાનદારીથી..', નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન
નોંધનીય છે કે, 22 એપ્રિલે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ ક્રૂરતાપૂર્વક ગોળીબાર કરી પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. સાવનની માતા કિરણ યતીશ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો કે, 'હજુ અમારા ઘા રૂઝાયા નથી. જો ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી તો ભારત-પાકિસ્તાન મેચ કેમ થઈ રહી છે? દેશભરના લોકોએ પહલગામમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને મળવું જોઈએ.'
મેચ બંદૂકની અણીએ ન રમી શકાય
પહલગામ હુમલામાં પોતાના પતિને ગુમાવનાર નવપરિણીત ઐશાન્યા દ્વિવેદીએ પણ BCCI પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, 'BCCI બંદૂકની અણીએ કોઈ પર મેચ લાદી શકે નહીં. 1-2 ખેલાડીઓ સિવાય, બાકીના લોકોએ આ મેચનો બહિષ્કાર કર્યો નહીં, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.'
નોંધનીય છે કે, આ હત્યાકાંડ પછી કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને PoKમાં સ્થિત ઘણા આતંકવાદી ઠેકાણાઓ અને પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે પીડિત પરિવારો કહે છે કે જો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમાઈ રહી છે, તો આ કાર્યવાહી અધૂરી અને બિનઅસરકારક સાબિત થાય છે.









