સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi and Shashi Tharoor : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી કોંગ્રેસના સાંસદોની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાંથી વરિષ્ઠ સાંસદ શશિ થરુર ગેરહાજર રહ્યા હતા. આ સતત ત્રીજો એવો મોકો છે જ્યારે થરુરે પાર્ટીની આવી વ્યૂહાત્મક બેઠકોથી અંતર જાળવ્યું છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર રાજકીય અટકળોનું બજાર ગરમ થયું છે.
થરુરની ગેરહાજરી અને રાજકીય તણાવ
કોંગ્રેસ સાંસદ શશિ થરુર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓના વખાણ કરવાના કારણે ઘણા સમયથી થરુર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સંસદ ભવનની એનેક્સી એક્સટેન્શન બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સંસદના બાકી રહેલા શિયાળુ સત્ર માટેની વ્યૂહરચના, વિપક્ષી એકતા અને સરકારને ઘેરવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના લગભગ તમામ સાંસદો હાજર હતા, પરંતુ શશિ થરુરની ગેરહાજરીએ ફરી એકવાર ચર્ચા જગાવી છે.
થરુર કેમ ગેરહાજર રહ્યા?
પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, થરુરે અગાઉથી જ પાર્ટીને પોતાની ગેરહાજરી વિશે જાણ કરી દીધી હતી. થરુરના સોશિયલ મીડિયા (એક્સ) ટાઇમલાઇન મુજબ, તે ગુરુવારે કોલકાતામાં એક ઇવેન્ટમાં હતા, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પહોંચી શક્યા ન હતા. જોકે, આ બેઠકમાંથી કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારી પણ ગેરહાજર રહ્યા હતા, જેનાથી પાર્ટીમાં હલચલ વધી છે.
સતત ત્રીજી ગેરહાજરી
નોંધનીય છે કે, આ પહેલો પ્રસંગ નથી જ્યારે થરુરે પાર્ટીની બેઠકોથી દૂરી બનાવી હોય. આ પહેલા પણ શશિ થરુરે બે વખત આવી બેઠકોમાંથી ગેરહાજરી નોંધાવી હતી. જોકે, 1 ડિસેમ્બરે થરુરે સ્પષ્ટતા કરી હતી કે તેમણે અગાઉ યોજાયેલી કોંગ્રેસની વ્યૂહાત્મક જૂથની બેઠક જાણી જોઈને છોડી નહોતી. તેમણે કહ્યું હતું કે જ્યારે બેઠક થઈ ત્યારે તેઓ કેરળથી પરત ફરતી ફ્લાઇટમાં હતા. જોકે, સતત ત્રીજી વખત બેઠકમાંથી દૂર રહેવાના કારણે કોંગ્રેસની અંદર થરુરના વલણ અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.








