ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
- ઇઝરાયેલ-ઇરાન યુદ્ધથી ભારતીય ચોખા નિકાસકારો મુશ્કેલીમાં
- બે લાખ ટનના રૂપિયા બે હજાર કરોડનું પેમેન્ટ પણ અટવાયું : શિપિંગમાં વિલંબ અને ચુકવણી અનિશ્ચિતતાઓને કારણે નાણાકીય મુશ્કેલીની શક્યતા
નવી દિલ્હી : ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારો પર જોવા મળી રહી છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે ઇરાનને મોકલવામાં આવનારા લગભગ ૧ લાખ ટન બાસમતી ચોખા ભારતીય પોર્ટ પર ફસાયેલા છે. ભારત માટે સઉદી અરબ પછી ઇરાન બાસમતી ચોખાનું બીજું સૌથી મોટું બજાર છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતની ઇરાનમાં બાસમતી ચોખાની આયત ૧૦ લાખ મેટ્રીક ટન થઇ હતી.
એસોસિએસનના પ્રમુખ સતીષ ગોયલે સમર્થન આપ્યું છે કે ફસાયેલા બાસમતી ચોખાનો જથ્થો ઇરાનની કુલ આયાતના લગભગ ૧૮ થી ૨૦ ટકા થાય છે. જે એક મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. ગોયલે જણાવ્યું છે કે બાસમતી ચોખાનો સંપૂર્ણ જથ્થો ગુજરાતના કંડલા અને મુંદ્રા બંદર પર પડયો છે. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇરાન જવા માટે જહાજ અને વીમા કવરેજ ઉપલબ્ધ નથી. સ્ટાન્ડર્ડ શિપિંગ વીમા પોલીસીઓમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય યુદ્ધ માટે કવરેજ સામેલ કરવામાં આવતું નથી. જેના કારણે નિકાસકારો પોતાનો માલ આગળ મોકલી શકતા નથી. ગોયલે સંકેત આપ્યા હતાં કે શિપિંગમાં વિલંબ અને ચુકવણી અનિશ્ચિતતાઓને કારણે મહત્ત્વપૂર્ણ નાણાકીય મુશ્કેલીઓ ઉદભવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઘરેલુ બાસમાતી ચોખાની કીંમતોમાં અગાઉ જ ૪ થી ૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સંબધમાં ૩૦ જૂનના રોજ કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની બાસમતી ચોખાની કુલ આયાત ૬૦ લાખ મેટ્રીક ટન હતી.