ઇટલીથી અમૃતસર આવેલી ફલાઇટના ૧૭૯ પ્રવાસીઓમાંથી ૧૨૫ કોરોનાવાળા નિકળ્યા
મિલાનથી આવેલી નોન શિડયૂલ્ડ ફલાઇટસમાંથી કોરોના બ્લાસ્ટ થતા હાહાકાર
૧૬૦ના સેમ્પલ લેવાયા બાકીના નવજાત અને નાના બાળકો હતા
અમૃતસર,૬ જાન્યુઆરી,૨૦૨૨,ગુરુવાર
કોરોનાની ત્રીજી લહેર જે કોઇ પણ ઇચ્છતું ન હતું પરંતુ તે દેશમાં દસ્તક દઇ રહી છે. યૂરોપ,અમેરિકા સહિત દુનિયાના દરેક ખંડમાં કોરોના વાયરસે ફરી માથુ ઉચકી રહયો છે ત્યારે વિદેશથી આવતી ફલાઇટસ અને તેના મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.ભારતમાં ઇટલીથી પંજાબના અમૃતસર આવેલી એક ફલાઇટના ૧૭૯ પ્રવાસીઓમાંથી ૧૨૫નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. ફલાઇટમાંથી ઉતરેલા મુસાફરોમાંથી ૧૬૦ના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી આટલી મોટી સંખ્યામાં કોરોનાવાળા નિકળ્યા હતા.વિમાનમાં બાકીના મુસાફરો નવજાત શીશુ હતા આથી તેમનો કોવિડ ટેસ્ટ લેવામાં આવ્યો ન હતો.
ઇટલીના મિલાનથી નોન શિડયુલ્ડ ચાર્ટડ ફલાઇટે ઉડાણ ભરી હતી જે ગુરુવારના રોજ અમૃતસરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યું હતું. મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ નિકળેલા કેટલાક મુસાફરોને એરપોર્ટ પર જ કૉરન્ટાઇન કરવામાં આવ્યા છે જયારે બાકીના ને તેમના ગંતવ્ય સ્થાને હોમ આઇસોલેશનમાં રહેવાની સુચના આપવામાં આવી છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો સંકેત આપતું સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૦ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. સક્રિય કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકોને સર્તક રહેવા સૂચના આપવામાં આવી રહી છે.વિદેશથી આવતા મુસાફરો પર પણ નજર રાખવી શા માટે જરુરી છે તે ઇટલીથી અમૃતસર આવેલા નોન શિડયુલ્ડ ફલાઇટના પોઝિટિવ ટેસ્ટ પરથી ધ્યાનમાં આવે છે.