NEET UG-2024 Exam Cancellation Case : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નીટ-યુજી પરીક્ષા રદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. આમાં એનટીએએ કહ્યું છે કે, કથિત ગેરરીતિઓ માત્ર પટણા અને ગોધરા કેન્દ્રોમાં જ થઈ હતી અને વ્યક્તિગત ઉદાહરણના આધારે સમગ્ર પરીક્ષા રદ થવી જોઈએ નહીં. એવું કહેવું ખોટું છે કે, ઉચ્ચ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ માત્ર કેટલાંક કેન્દ્રોના છે. એનટીએએ તેના સોગંદનામામાં ખુલાસો કર્યો છે કે, તેણે ગેરરીતિઓમાં સામેલ વિદ્યાર્થીઓના પરિણામો અટકાવ્યા છે. તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી અને હાંકી કાઢવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે.
આ પણ વાંચો : હાથરસકાંડ : ઉત્તર પ્રદેશ પોલીસે ફરાર ભોલે બાબાનું લોકેશન શોધ્યું, જાણો ક્યાં છુપાયો
...તો લાખો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી જોખમાશે
એનટીએનું કહેવું છે કે, અયોગ્ય સાધનો અને પેપર લીકના વ્યક્તિગત કિસ્સાઓના કારણે આખી પરીક્ષા બગડી નથી. નીટ યુજી-2024 જેવી હાઈ-ટેક પરીક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ એવી રજૂઆત કરવામાં આવે છે કે, આવી કાર્યવાહી કરવા માટે કોઈ નક્કર કારણ ન હોવા છતાં જો સમગ્ર પરીક્ષા પ્રક્રિયા રદ થશે તો લાખો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી જોખમાશે.
NEET પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
નીટ પેપર લીક કેસ, પરીક્ષા રદ કરવાની માંગ અને અનિયમિતતા વગેરે સંબંધિત અરજીઓની સુનાવણી આઠમી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વિનંતી બાદ સુપ્રીમ કોર્ટ નીટ કેસની તમામ અરજીઓને જોડીને આગળ શું કરવું, તેના પર નિર્ણય લેશે. દેશના લાખો નીટ ઉમેદવારો, માતા-પિતા અને કોચિંગ શિક્ષકોની નજર આ સુનાવણી પર છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચમાં સીજેઆઈની સાથે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.


