હવે રેલવે ટિકિટનું કન્ફર્મેશન ટ્રેન ઉપડવાના એક દિવસ અગાઉ થઇ જશે
- હાલ ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ બને છે
- નવી કેન્સલેશન નીતિ પ્રમાણે ટ્રેન ઉપડવાના 48થી બાર કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવો તો 25 ટકા પૈસા જ પાછાં મળશે
- બિકાનેરમાં ટ્રાયલ શરૂ થઇ, સફળ થશે તો દેશભરમાં લાગુ પડાશે
નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા રિઝર્વેશન ચાર્ટ સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન કરી પ્રવાસીઓને તેમની બેઠક રિઝર્વ થઇ છે કે નહીં તેની જાણ હવે ચાર કલાક પહેલાંને બદલે ચોવીસ કલાક પહેલાં કરવાનુ બીડું રેલવે અધિકારીઓએ ઝડપ્યું છે. નવી સિસ્ટમમાં કેન્સલેશન ચાર્જમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હાલ આ નવી રિઝર્વેશન સિસ્ટમની ટ્રાયલ બિકાનેર ડિવિઝનમાં કરવામાં આવી રહી છે. જો તે સફળ થશે અને પ્રવાસીઓ તેનો હકારાત્મક પ્રતિસાદ આપશે તો તેને દેશભરમાં લાગુ પાડવામાં આવશે.
નવી સિસ્ટમનો હેતુ પ્રવાસીઓને તેમની કન્ફર્મ ટિકિટ વિશેની જાણ આગોતરી કરી છેલ્લી ઘડી સુધીની અનિશ્ચિતતાનો અંત લાવવાનો છે. હાલ રેલવેનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થવાના ચાર કલાક પહેલાં બનાવવામાં આવે છે. એ પછી બીજો ચાર્ટ ટ્રેન રવાના થવાની ૩૦ મિનિટ પૂર્વે બનાવવામાં આવે છે. પણ હવે નવી વ્યવસ્થા અનુસાર રિઝર્વેશનનો ફાઇનલ ચાર્ટ જ ટ્રેન રવાના થવાના ચોવીસ કલાક બનાવી દેવામાં આવશે.
નવી સિસ્ટમમાં સૌથી મોટૌ ફાયદો વેઇટ લિસ્ટમાં રહેલાં પ્રવાસીઓને થશે. હાલ આ પ્રવાસીઓને ટ્રેન રવાના થવાના ચાર કલાક પહેલાં સુધી તેમની ટિકિટ કન્ફર્મ થઇ કે નહીં તેનીરાહ જોવી પડે છે. નવી સિસ્ટમમાં રિઝર્વેશન મળ્યું કે નહીં તે ચોવીસ કલાક પહેલાં જ જાણી શકાશે જેને કારણે વૈકલ્પિક પ્રવાસનું આયોજન કરવામાં સુગમતા રહેશે.હાલની સિસ્ટમમાં ઘણીવાર ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે પ્રવાસીઓને યાત્રા રદ કરવી પડે છે. રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ સામાન્ય ટિકિટ લેવા માટે પણ પૂરતો સમય રહેતો નથી. જેને કારણે છેલ્લી ઘડીએ ટિકિટ બારી પર ભારે ભીડ થાય છે.
જો કે, નવી સિસ્ટમમાં એકવાર ટિકિટ કન્ફર્મ થઇ જાય તે પછી તેને કેન્સલ કરાવવા માટે પ્રવાસીએ મોટો કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડશે. જો કન્ફર્મ ટિકિટને ટ્રેન રવાના થવાના ૪૮ કલાક થી બાર કલાક પહેલાં રદ કરાવવામાં આવશે તો પ્રવાસીને ટિકિટની રકમના ૨૫ ટકા રકમ જ પાછી મળશે. કેન્સલેશનને કારણે ખાલી પડનારી બર્થ કે સીટની ટિકિટો કરન્ટ બુકિંગ સિસ્ટમ દ્વારા જારી કરવામાં આવશે.