નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે, પાર્ટી MLC પણ બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Political News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે(8 માર્ચ) પાર્ટી કાર્યાલય ખાતે JDUમાં જોડાયા. પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. JDU એ નિશાંતના પ્રવેશ માટે એક નવું સૂત્ર રજૂ કર્યું: "યુવા સોચ.. મજબૂત સંકલ્પ". તેમનું સ્વાગત કરવા માટે રાજ્ય JDU કાર્યાલયમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પણ કાર્યાલયમાં હાજર હતા. મંત્રી વિજય કુમાર ચૌધરી પણ હાજર હતા. જોકે, નિશાંત કુમારના પિતા નીતિશ કુમાર હાજર નહોતા. JDUમાં જોડાયા બાદ નિશાંત કુમાર મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પિતા નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી.
JDUમાં જોડાયા બાદ નિશાંતે શું કહ્યું?
પાર્ટીમાં જોડાયા બાદ નિશાંત કુમારે કહ્યું કે, 'હું બધાનો આભાર માનું છું. તમે મારા પર મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો હું પ્રયાસ કરીશ. હું, સમગ્ર બિહાર અને સમગ્ર દેશને મારા પિતાએ છેલ્લા 20 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર ગર્વ છે.'
નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી!
બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટો ધડાકો થયો છે. જેડીયુ (JD-U)ના વરિષ્ઠ ધારાસભ્ય હરિનારાયણ સિંહે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર ટૂંક સમયમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. આ સાથે જ નિશાંત કુમાર આવતા મહિને વિધાન પરિષદ (MLC)ના સભ્ય તરીકે પણ ચૂંટાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

બેઠકમાં લેવાયો 'સર્વાનુમતે' નિર્ણય
નાલંદા જિલ્લાના હરનૌતના ધારાસભ્ય અને નીતિશ કુમારના નજીકના ગણાતા હરિનારાયણ સિંહે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી વિધાનસભા પક્ષની બેઠકમાં નિશાંત કુમારને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.' આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નીતિશ કુમારે પોતે મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો છે.
એપ્રિલમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે
નિશાંત કુમાર આજે વિધિવત રીતે જેડીયુમાં જોડાયા છે. બંધારણીય પદ સંભાળવા માટે ગૃહના સભ્ય હોવું અનિવાર્ય હોવાથી, એપ્રિલમાં યોજાનારી વિધાન પરિષદની નવ બેઠકોની ચૂંટણીમાં તેઓ ઉમેદવારી નોંધાવશે. નીતિશ કુમારના રાજીનામા બાદ રચાનારી નવી સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

બિહારમાં સત્તાનું નવું ગણિત
અત્યાર સુધી વંશવાદના રાજકારણના કટ્ટર ટીકાકાર ગણાતા નીતિશ કુમારના આ સંભવિત નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બિહારમાં હવે ભાજપનો મુખ્યમંત્રી બની શકે છે, કારણ કે NDA માં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જેડીયુ ગૃહ મંત્રાલય જેવા મહત્ત્વના વિભાગો સાથે બે નાયબ મુખ્યમંત્રી પદ પર આગ્રહ રાખી શકે છે. વર્તમાન વ્યવસ્થામાં ભાજપના બે નાયબ મુખ્યમંત્રી (સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા) છે, જે આખી પ્રક્રિયા ઉલટાઈ શકે છે.
કોણ છે નિશાંત કુમાર?
નિશાંત કુમાર અત્યાર સુધી રાજકારણ અને લાઈમલાઈટથી દૂર રહ્યા છે. તેઓ વ્યવસાયે એન્જિનિયર છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ ધરાવે છે. જોકે, બદલાતા રાજકીય સંજોગોમાં હવે તેઓ નીતિશ કુમારના રાજકીય વારસદાર તરીકે ઊભરી રહ્યા હોય તેમ જણાય છે.








