Get The App

દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન 1 - image

ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, તમામ ટુ-વ્હીલર્સને એકસાથે બે ISI પ્રમાણિત હેલ્મેટ વેચવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન ઑફ ઇન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે.

ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4,80,000થી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1,88,000થી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી, 66 ટકા મૃતકો 18થી 45 વર્ષની વયના છે. દર વર્ષે 69,000થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી 50 ટકા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે.

ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન(THMA) લાંબા સમયથી ફરજિયાત ISI પ્રમાણિત હેલ્મેટની માંગ કરી રહ્યું છે. THMA એ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. THMAના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલ્મેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે."