જમ્મુ-કાશ્મીરમાં NIAના 17 સ્થળો પર દરોડા, ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારાઓ સામે કાર્યવાહી
જમ્મુમાં 1 જગ્યાએ અને શ્રીનગરમાં બાકીના દરોડા પાડવામાં આવી રહ્યા છે
Image : NIA website |
જમ્મુ-કાશ્મીર, 23 ડિસેમ્બર 2022, શુક્રવાર
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા ષડયંત્રની તપાસ કરી રહી છે. આ દરમિયાન તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડ્યા છે. NIAએ જમ્મુ-કાશ્મીરમાં 16 થી 17 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. જમ્મુમાં 1 જગ્યાએ અને શ્રીનગરમાં બાકીના દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAની ટીમ એવા લોકોના ઘરો પર દરોડા પાડી રહી છે જેમના નામ ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારામાં સામે આવ્યા હતા.
સિરસામાં પણ NIAના દરોડા પાડવામાં આવ્યા હતા
NIAની ટીમે 21 ડિસેમ્બરે હરિયાણાના સિરસામાં પણ દરોડા પાડ્યા હતા. એજન્સીએ આ દરોડા ભારત અને વિદેશમાં સ્થિત આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને હથિયાર સપ્લાયર્સ વચ્ચેની સાંઠગાંઠ સામે પાડ્યા હતા. આ સિવાય નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ 10 ડિસેમ્બરે દક્ષિણ કાશ્મીરમાં લશ્કરના 4 આતંકીઓને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું અને પોસ્ટરમાં દેખાડવામાં આવેલા આતંકવાદીઓ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
અગાઉ ટેરર ફંડિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ જમ્મુ-કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ જમ્મુ, શ્રીનગર, પુલવામા, રાજૌરી, પુંછ, બડગામ, શોપિયાં સહિત અનેક સ્થળોની તપાસ કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં અલ હુદા એજ્યુકેશનલ ટ્રસ્ટની શંકાસ્પદ ગતિવિધિઓ અને ટેરર ફંડિંગ સંબંધિત બાબતોને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ પોલીસ અને CRPF સાથે મળીને આ ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના ઘરની તલાશી લીધી હતી.