Pahalgam Terror Attack : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં પહલગામ આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સાજિદ જટ્ટનું નામ આપવામાં આવ્યું છે. એનઆઈએએ આ આતંકવાદી પર રૂપિયા 10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.
તોયબાનો સક્રિય કમાન્ડર સાજિદ જ મુખ્ય ષડયંત્રકાર
એનઆઈએએ ચાર્જશીટમાં સાજિદ જટ્ટને હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. સૈફુલ્લાહ પાકિસ્તાનના પંજાબ રાજ્યના કસૂર જિલ્લાનો રહેવાસી છે. તેને લશ્કર-એ-તૈયબાનો સૌથી સક્રિય કમાન્ડર માનવામાં આવે છે અને સંગઠનમાં તે હાફિઝ સઈદ પછી ત્રીજા ક્રમનો નેતા છે. સાજિદ લશ્કરના પ્રોક્સી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો વડો છે અને તેણે જ પહલગામ હુમલાને અંજામ આપ્યો હતો. ભારત સરકારે વર્ષ 2023માં TRF સંગઠન પર પ્રતિબંધ લાદ્યો હતો.
બે સ્થાનિક રહેવાસીઓ સામેલ પણ ચાર્જશીટ
પહલગામ હુમલા મામલે ધરપકડ કરાયેલા બે સ્થાનિક રહેવાસીઓ, બશીર અહમદ જોથર અને પરવેઝ અહમદ જોથર સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ બંનેએ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો અને લોજિસ્ટિકલ સહાય પણ પૂરી પાડી હતી. ચાર્જશીટ દાખલ કરવાની 180 દિવસની સમયસીમા 18 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી, પરંતુ એનઆઈએએ સમયસર 15 ડિસેમ્બરે જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. તપાસ પૂરી કરવા માટે એનઆઈએએ કોર્ટ પાસે 45 દિવસનો વધારાનો સમય પણ મેળવ્યો હતો. એનઆઈએએ આ કેસમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની પૂછપરછ કરી છે.
પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો
પહલગામ નજીક બૈસરન ખીણમાં ઘૂસેલા આતંકવાદીઓએ 22 એપ્રિલ-2025ના રોજ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ બર્બર હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને સેનાએ છેક લાહોર નજીક મુરીદકે, બહાવલપુર, કોટલી જેવા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.


