Get The App

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો.... પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું

Updated: Jun 25th, 2026

GS TEAM

Google News
Google News
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો.... પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું 1 - image

Pahalgam Baisaran Valley Terror Attack NIA Chargesheet: જમ્મુ-કાશ્મીરના પહેલગામ સ્થિત પ્રખ્યાત બૈસરન વેલીમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા ભીષણ આતંકી હુમલાને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આત્મઘાતી હુમલામાં 25 પ્રવાસીઓ અને 1 સ્થાનિક પોનીવાલા (ઘોડાસવાર) સહિત કુલ 26 નિર્દોષ લોકોની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકીઓના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસમાંથી બહાર આવ્યું છે કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવાનું આ ભયાનક કાવતરું હુમલાના ઓછામાં ઓછા 1 અઠવાડિયા પહેલા જ ઘડી કાઢવામાં આવ્યું હતું. આતંકીઓ તેમના પાકિસ્તાની આકાઓ સાથે સંકલન સાધવા માટે સામાન્ય રીતે પર્વતારોહણમાં વપરાતી હાઇકિંગ અને ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હતા.

એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓના ફોનમાંથી મળ્યા તમામ પુરાવા

NIA ની તપાસ અનુસાર, 28 જુલાઈ 2025 ના રોજ શ્રીનગર નજીક દાચીગામના જંગલોમાં સેનાના 'ઓપરેશન મહાદેવ' દરમિયાન 3 આતંકીઓ માર્યા ગયા હતા. જેમાં ફેસલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહીર ઉર્ફે જીબરાન અને હમઝા અફઘાનીનો સમાવેશ થતો હતો. આ આતંકીઓ પાસેથી સુરક્ષા દળોને 2 એવા ફોન મળ્યા હતા જે પાકિસ્તાનમાં ખરીદાયા હતા. આ ફોનના ડેટા એનાલિસિસમાંથી આતંકીઓની તસવીરો, પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટના સ્ક્રીનશોટ અને નેવિગેશન ડેટા રિકવર થયા છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે 15 એપ્રિલ 2025 થી જ બૈસરન હુમલાનું કાવતરું એક્ટિવ થઈ ગયું હતું. આતંકીઓએ જીપીએસ (GPS) આધારિત મોબાઇલ એપ દ્વારા પાકિસ્તાની હેન્ડલર સાજિદ જટ્ટ દ્વારા મોકલવામાં આવેલા લોકેશન કોઓર્ડિનેટ્સ ટ્રેક કર્યા હતા.

આ પણ વાંચો : VIDEO: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

પાકિસ્તાનથી કંટ્રોલ અને ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય

અહેવાલો મુજબ, આ સમગ્ર ઓપરેશનનું સંચાલન પાકિસ્તાનમાં બેઠેલા પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ના કમાન્ડર અલી સાજિદ ઉર્ફે અલી ભાઈ (સાજિદ જટ્ટ) દ્વારા કરવામાં આવતું હતું. સાજિદે સીક્રેટ એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન નેટવર્ક દ્વારા આતંકીઓને રૂટ નેવિગેશન અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત, જંગલમાં ડ્રોન દ્વારા હથિયારોની ખેપ પણ ડ્રોપ કરવામાં આવી હતી. એક સાક્ષીના જણાવ્યા અનુસાર, આતંકીઓને ડ્રોન મારફતે 20 પિસ્તોલ, 15 લાખ રૂપિયા રોકડા અને ત્રિકોણાકાર બોમ્બ મોકલવામાં આવ્યા હતા.

હુમલા માટે બૈસરન વેલી જ કેમ પસંદ કરાઈ?

તપાસ એજન્સીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે બૈસરન વેલીની ભૌગોલિક સ્થિતિ અત્યંત દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. તે સમયે ત્યાં સીસીટીવી (CCTV) કેમેરાનું કોઈ કવરેજ ન હતું, જેનો ફાયદો ઉઠાવીને આતંકીઓએ આસાનીથી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. હુમલાના આગલા દિવસે આતંકીઓ સ્થાનિક મદદગાર પરવેઝ અહમદના 'ઢોક' (માટીની ઝૂંપડી) માં રોકાયા હતા, જ્યાં તેમને આશ્રય અને ભોજન આપવામાં આવ્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ આતંકી કેસમાં NIA એ ઊંડાણપૂર્વક તપાસ કરીને 1,100 થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી છે અને ડિસેમ્બર 2025 માં જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટમાં પોતાની સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી દીધી છે.