Updated: May 26th, 2023
મુંબઈ, તા.26 મે-2023, શુક્રવાર
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ પરિસરને પોતાની જાગીર માને છે, કારણ કે તેમને લાગે છે કે નવું સંસદ ભવન તેમણે જ બનાવ્યું છે.
‘સામના’ દ્વારા PM મોદી પર સાધ્યું નિશાન
શિવસેના (UBT)એ તેમના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન અંગે PM મોદી પર આરોપ કરવા ઉપરાંત એવો પ્રશ્ન કર્યો છે કે, શું 28 મેના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને બોલાવાયા છે.
PM મોદી સમજે છે કે, આ તેમની જાગીર છે : ઉદ્ધવની પાર્ટી
મુખપત્ર સામનામાં વધુમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ દેશના વડા છે અને ભારતના પ્રથમ નાગરિક પણ છે, તેથી આ પદનું અપમાન ન કરવું જોઈએ. પાર્ટીએ સામનામાં કહ્યું છે કે, મોદીની નીતિ એવી કે, મારા દ્વારા નવા સંસદ ભવનનું નિર્માણ થયું છે અને તે મારી જાગીર છે, તેથી જ મારું નામ તક્તી પર હશે, આ લોકશાહી માટે ખતરનાક છે.
શું અડવાણીને આમંત્રણ અપાયું છે : શિવસેના (UBT)
મુખપત્ર સામનામાં કહેવાયું છે કે, નવું સંસદ ભવન કોઈ પક્ષનું નહીં, દેશનું છે અને ભાજપના નેતાઓ લોકશાહીની વાત કરી રહ્યા છે જે મજાક છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે, શું અડવાણી, જેમના કારણે ભાજપ ‘અચ્છે દિન’ જોઈ શકી, તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું છે ?
સામનામાં શિંદે-ફડણવીસ પર કરાયો કટાક્ષ
મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, સરકારે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તમે અમારી ખાનગી પાર્ટીમાં આવો છો, તો તમારું અપમાન કરવામાં આવશે. એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ આવી પાર્ટીઓમાં જવાનું પસંદ કરે છે. શું અડવાણી માટે જગ્યા છે, તે જુઓ.
વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
વિપક્ષો પણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. વિપક્ષો કહી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, આવું ન કરીને સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.
નવા સંસદ ભવન અંગે વિરોધ પક્ષોએ શું કહ્યું ?
કોંગ્રેસ, મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનની DMK, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથિગલ કાટ્ચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કડગમ (MDMK) અને રાષ્ટ્રીય લોક દળ સહિત 19 પક્ષોએ સામૂહિક બહિષ્કારની જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સરકાર દ્વારા અપમાન કરાયું છે. ત્યારબાદ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમએ પણ કહ્યું કે તેઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ નહીં લે.
કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે ?
નવા સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિરોધ પક્ષોમાં જેડીએસ, એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP), ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD), શિરોમણી અકાલી દળ, પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP), આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને લોક જનશક્તિ પાર્ટી (પાસવાન) ઉપસ્થિત રહેશે.
સરકારે શું કહ્યું?
વિપક્ષી પાર્ટીઓ દ્વારા બહિષ્કાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે, દરેક મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ. અમે દરેકને આમંત્રણ મોકલ્યા છે. હવે તેઓ આવે છે કે નહીં તે તેમના વિવેક પર આધાર છે. દરેક વ્યક્તિ પોતાની વિચાર મુજબ નિર્ણય લે છે.