અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના નવા માલિક નક્કી, આ જૂથે હરાજી જીતી
ટોરેન્ટ ગ્રૂપે ગઈ કાલે સૌથી વધુ બોલી લગાવી હતી
ટોરેન્ટ ગ્રૂપે અનિલ અંબાણી જૂથ દ્વારા સ્થાપિત NBFCને હસ્તગત કરવા માટે રૂ. 8,640 કરોડની બિડ કરી
Image: Facebook |
ભારે દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની હરાજી માટે સૌથી મોટી બોલી લગાવનારનું નામ સામે આવ્યું છે. રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગરૂપે યોજાયેલી હરાજીમાં ટોરેન્ટ ગ્રૂપે ગઈ કાલે સૌથી વધુ બોલી લગાવી હતી. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે અનિલ અંબાણી જૂથ દ્વારા સ્થાપિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની(NBFC)ને હસ્તગત કરવા માટે રૂ. 8,640 કરોડની બિડ કરી છે.
ટોરેન્ટ ગ્રૂપની પ્રમોટર સંસ્થાઓએ રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે રૂ. 8,640 કરોડની ઓફર કરી છે. હિન્દુજા ગ્રુપે પણ આ કંપનીને ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો અને 8150 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ટોરેન્ટ ગ્રુપે તેની ઊંચી બોલી લગાવી તે ઓફરને પરાસ્ત કરી હતી.
આ હરાજીમાં હિન્દુજા ગ્રૂપે બીજી સૌથી વધુ બિડ કરી છે, જ્યારે ઓકટ્રીએ હરાજીના કોઈ તબક્કામાં ભાગ લીધો ન હતો. અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કમિટી ઓફ ક્રેડિટર્સએ હરાજી માટે રૂ. 6,500 કરોડની નીચી કિંમત મર્યાદા નક્કી કરી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ અનુસાર, ધિરાણકર્તાઓએ 31 જાન્યુઆરી, 2023 સુધીમાં રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ હરાજી જીતવાથી ટોરેન્ટ ગ્રુપને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં સારો ફાયદો થશે કારણ કે આ દ્વારા ટોરેન્ટ ગ્રુપને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં સંપૂર્ણ 100 ટકા હિસ્સો મળશે, જ્યારે ટોરેન્ટને અન્ય અસ્કયામતો સાથે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા હિસ્સો મળશે.