TVK Vijay Rally Stampede: શનિવારે તમિલનાડુના કરુરમાં એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ. તમલિગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ વિજય દ્વારા આયોજિત રેલી દરમિયાન આ ઘટના બની. મોટી ભીડને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી, તેથી અભિનેતા વિજયે પોતાનું ભાષણ અટકાવવું પડ્યું.
સીએમ સ્ટાલિન પહોંચ્યા હોસ્પિટલ
નાસભાગની ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 39 થઈ ગયો છે. હજુ પણ ઘણા લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ગઈકાલે મોડી રાત્રે કરુર પહોંચ્યા અને નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને મેડિકલ કોલેજમાં દાખલ ઇજાગ્રસ્તોને મળ્યા.
સીએમ સ્ટાલિને શું કહ્યું?
સ્ટાલિને કહ્યું, "આપણા રાજ્યના ઇતિહાસમાં, એક રાજકીય પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન થવી જોઈએ. હાલમાં 51 લોકો ICU માં સારવાર હેઠળ છે. ભારે હૃદયથી, હું જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપું છું."
રાજનેતાઓએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ
નાસભાગ બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો . પાણીની બોટલો વહેંચવામાં આવી અને તબીબી ટીમો તૈનાત કરવામાં આવી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમિલનાડુ સરકારે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 10 લાખ મળશે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા લોકોને પણ પ્રત્યેકને 1 લાખ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓએ ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે.


