દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jitan Ram Manjhi Party Ham Political Losses: હિન્દુસ્તાની આવામ મોરચાના સ્થાપક અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીને NDAમાં 15-16 બેઠકોની આશા હતી, પરંતુ સીટ શેરિંગમાં તેમને માત્ર 6 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. આ સંખ્યા છેલ્લી ચૂંટણી કરતાં પણ એક બેઠક ઓછી છે, જે તેમનું રાજકીય કદ સતત ઘટી રહ્યું હોવાનું દર્શાવે છે.
નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના બિહાર NDAમાં આખરે સીટ શેરિંગ નક્કી થઈ ગયું, જેમાં ભાજપ અને જેડીયુ સમાન સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ને માત્ર 6 બેઠકો મળી છે. આમ, માંઝીની 'પ્રેશર પોલિટિક્સ'ની કોઈ પણ રણનીતિ સફળ ન થઈ.
માંઝીની માંગ સામે 6 બેઠકો, NDAને નુકસાનની ચેતવણી
NDAના સીટ વહેંચણીમાં સૌથી મોટો ફટકો જીતનરામ માંઝીને લાગ્યો છે. 40, 20 અને છેલ્લે 15 બેઠકોની માંગણી સામે તેમને માત્ર 6 બેઠકો મળી, જે છેલ્લી ચૂંટણી કરતાં પણ એક ઓછી છે. ભાજપ-જેડીયુની જેમ, માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને 6-6 બેઠકો ફાળવવામાં આવી છે. પોતાની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાને થયેલા આ મોટા નુકસાન પર માંઝીએ કહ્યું કે, નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ 6 બેઠકો આપીને તેમનું મહત્ત્વ ઓછું આંકવામાં આવ્યું છે, જેનું નુકસાન NDAને થઈ શકે છે.
NDAમાં સીટ શેરિંગનું ફોર્મ્યુલા
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે NDAમાં સીટ વહેંચણી થઈ ગઈ છે. આ ફોર્મ્યુલા મુજબ, ભાજપ અને જેડીયુ 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની LJP (R)ને 29 બેઠકો મળી છે. જીતનરામ માંઝીની 'હમ' અને કુશવાહાની પાર્ટી બંનેને 6-6 બેઠકો ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માંઝીની પાર્ટી પાસે 4 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં, લોકસભા ચૂંટણી હારેલા અને કોઈ ધારાસભ્ય ન ધરાવતા ઉપેન્દ્ર કુશવાહાને પણ સમાન 6 બેઠકો મળી છે.
માંઝીના ઘટતા રાજકીય કદનો ગ્રાફ
80ના દાયકામાં રાજકીય કારકિર્દી શરૂ કરનાર જીતનરામ માંઝી 2014માં બિહારના મુખ્યમંત્રી બન્યા. 2015માં નીતિશ કુમાર સાથેના ટકરાવ બાદ તેમને સીએમ પદેથી હટાવવામાં આવતાં તેમણે હિન્દુસ્તાની આવામ મોરચાની રચના કરી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2015ની ચૂંટણીમાં (જ્યારે JDU NDAમાં નહોતી) તેમને 21 બેઠકો મળી હતી.
જોકે, 2017માં નીતિશ કુમાર NDAમાં પાછા આવતા માંઝીનો રાજકીય સમીકરણ બદલાયો. 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેમની બેઠકો ઘટીને માત્ર 7 થઈ ગઈ. હવે 2025ની વિધાનસભા ચૂંટણી માટે 40, 20 અને 15 બેઠકોની માંગણી સામે તેમને માત્ર 6 બેઠકો મળી છે, જે છેલ્લી ચૂંટણી કરતાં પણ એક ઓછી છે.
માંઝીનું સતત ઘટતું મહત્ત્વ
બિહારની રાજનીતિમાં કેન્દ્રીય મંત્રી હોવા છતાં જીતનરામ માંઝીનું રાજકીય મહત્ત્વ સતત ઘટી રહ્યું છે. તેમની બેઠકોની સંખ્યા સતત ત્રીજી ચૂંટણીમાં ઓછી થઈ છે: 2015માં 21 બેઠક પર લડ્યા (1 જીત), 2020માં 7 બેઠક પર લડ્યા (4 જીત), અને હવે 2025માં માત્ર 6 બેઠકો મળી છે. 2024માં લોકસભા સાંસદ બન્યા હોવા છતાં, માન્યતા પ્રાપ્ત પક્ષનો દરજ્જો મેળવવા માટે 15 બેઠકો પર લડવાની તેમની ઈચ્છા પૂરી થઈ નથી.
આ પણ વાંચો: જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા
માંઝીની આશાઓ પર પાણી ફરી વળ્યું
માંઝીએ તેમની પાર્ટી 'હમ' (2015માં સ્થપાયેલી, 4 ધારાસભ્યો અને 1 MLC) ને માન્યતા પ્રાપ્ત પક્ષનો દરજ્જો ન મળવા બદલ અફસોસ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે માન્યતાના અભાવે ચૂંટણી પંચની બેઠકોમાં તેમને ન બોલાવતા તેમનું અપમાન થયું છે.
માંઝીએ દાવો કર્યો હતો કે જો તેમને છેલ્લી ચૂંટણીની 7 બેઠકોની જગ્યાએ 15-16 બેઠકો મળે, તો તેઓ 7-8 બેઠકો જીતીને પાર્ટીને માન્યતા અપાવી શકે છે, કારણ કે બિહારની 60-70 બેઠકો પર તેમના (3% મુસહર સમુદાયના) 25 હજારથી વધુ મતદારો છે.
જોકે, માત્ર 6 બેઠકો મળવાથી તેઓ નિરાશ છે. તેમણે NDAનો નિર્ણય શિરોમાન્ય ગણાવ્યો, પણ સાથે ચેતવણી આપી કે 6 બેઠકો આપીને તેમના મહત્ત્વને ઓછું આંકવામાં આવ્યું છે, જેનું નુકસાન NDAને ભોગવવું પડી શકે છે. માન્યતા પ્રાપ્ત પક્ષ બનવાની તેમની આશા પર આનાથી મોટો ફટકો પડ્યો છે.








