'સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો...' શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો
Jitendra Awhad Controversial Statement: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'સનાતનની વિચારધારા વિકૃત છે અને તેણે આખા દેશને બરબાદ કરી નાખ્યો છે.'
આપણે બધા હિન્દુ ધર્મમાં માનીએ છીએ: જિતેન્દ્ર આવ્હાડે
મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, 'કોઈ પણ ધર્મને ક્યારેય સનાતન ધર્મ કહેવામાં આવ્યો નથી. આપણે બધા હિન્દુ ધર્મમાં માનીએ છીએ. આ એ જ કહેવાતો સનાતન ધર્મ છે જેને છત્રપતિ શિવાજી મહારાજે નકારી કાઢ્યો હતો. સનાતન ધર્મે આપણા છત્રપતિ શિવાજી મહારાજને પણ બદનામ કર્યા હતા. આ સનાતન ધર્મના લોકોએ જ્યોતિરાવ ફૂલેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.'
સનાતન ધર્મે વિશે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, 'સનાતન ધર્મના લોકોએ સાવિત્રીબાઈ ફૂલે પર છાણ ફેંક્યું. આ જ લોકોએ સાહુ મહારાજની હત્યાનું કાવતરું ઘડ્યું. ડૉ. આંબેડકરને શાળામાં પાણી પણ પીવા દીધું નહીં. તેમણે સનાતન ધર્મનો વિરોધ કર્યો, મનુસ્મૃતિ બાળી નાખી અને તેની પરંપરાઓનો અસ્વીકાર કર્યો. મનુસ્મૃતિનો જન્મ સનાતન પરંપરામાંથી થયો હતો. ભાજપે સનાતન આતંકવાદ અને ભગવા આતંકવાદ જેવા શબ્દો પર કોંગ્રેસને ઘેરી લીધી છે.'
જિતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે
ઉલ્લેખનીય કે, જિતેન્દ્ર આવ્હાડે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUIથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પહોંચ્યા અને 2009માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીતી. ત્યારથી તેઓ સતત ચૂંટણી જીતી રહ્યા છે. તે કોંગ્રેસ-NCP અને મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. OBC વણજારા સમુદાયમાંથી આવતા જિતેન્દ્ર આવ્હાડે સામાજિક-ધાર્મિક ચળવળોમાં ખૂબ સક્રિય રહ્યા છે.