અમદાવાદ દુર્ઘટના બાદ સિંગાપુર એરલાઇન્સના મૌન પર ઉઠ્યા સવાલ, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રીનું સૂચક નિવેદન
Praful Patel accuses Singapore Airlines of silence: પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના અંગે સિંગાપોર એરલાઇન્સના મૌન પર સવાલો ઉઠાવ્યા છે. સિંગાપોર એરલાઇન્સ ટાટા ગ્રૂપ સાથે મળી એર ઇન્ડિયાની જાળવણી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે. તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. તેમ છતાં તેણે આટલી મોટી દુર્ઘટના મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
સોશિયલ મીડિયા X પર પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા દુર્ઘટના સાથે જોડાયેલા તમામ દુઃખ અને ચર્ચાઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ શેરહોલ્ડર પોતાની ભૂમિકા મુદ્દે મૌન ધારણ કરી બેઠું છે. આ યુનિટ એર ઇન્ડિયાના મોટી સંખ્યામાં વાઇડ-બૉડી વિમાનોની જાળવણી માટે જવાબદાર છે. તમે અંદાજ લગાવશોઃ સિંગાપોર એરલાઇન્સ. એવું લાગી રહ્યું છે કે, તે કંઈક છુપાવી રહ્યું છે.
પટેલે આગળ લખ્યું કે, આપણે ભૂલવું ન જોઈએ કે, એર ઇન્ડિયાના મેનેજમેન્ટ અને કોડશેર કરારમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. ખાસ વાત આ છે કે, એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન પોતે સિંગાપોર એરલાઇન્સના વ્યક્તિ છે. તેઓ પહેલા સિંગાપોર એરલાઇન્સની સસ્તી કંપની સ્કૂટ એરલાઇન્સના સીઈઓ હતા. તો તે કેમ મૌન રાખીને બેઠી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash LIVE : 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 158ના મૃતદેહ સોંપાયા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
અમદાવાદમાં 12 જૂનના રોજ બપોરે 1.40 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક માટે ટેક ઑફ થતાંની સાથે જ ક્રેશ થઈ હતી. આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. જેમાં 241 મુસાફરો સહિત કુલ 279 લોકો માર્યા ગયા છે. આ દુર્ઘટના છેલ્લા ચાર દાયકાની સૌથી મોટી હવાઈ દુર્ઘટના છે. જ્યારે બોઇંગ 787 વિમાનની પહેલી મોટી દુર્ઘટના છે.
સિંગાપોર એરલાઇન્સે આપી પ્રતિક્રિયા
પ્રફુલ્લ પટેલની પોસ્ટ બાદ સિંગાપોર એરલાઇન્સે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે, સિંગાપોર એરલાઇન્સ ગ્રૂપ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની ભયાવહ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના ધરાવે છે. અમે ટાટા સન્સ અને એર ઇન્ડિયાની સાથે સતત સંપર્કમાં છીએ અને સંભવિત તમામ સહાયતા પ્રદાન કરી રહ્યા છે.
એર ઇન્ડિયામાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો
એર ઇન્ડિયા અને વિસ્તારાના મર્જર બાદ સિંગાપોર એરલાઇન્સ આ સંયુક્ત કંપનીમાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે. સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં પહેલાં 49 ટકા અને ટાટા સન્સ 51 ટકા હિસ્સો ધરાવતી હતી. જાન્યુઆરી, 2022માં ટાટા ગ્રૂપે સરકાર પાસેથી એર ઇન્ડિયા હસ્તગત કરી હતી. બાદમાં વિસ્તારાનું મર્જર કર્યું હતું. ઉલ્લેખનીય છે, એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન પહેલાં સિંગાપોર એરલાઇન્સની લૉ-કોસ્ટ પેટા કંપની સ્કૂટર એરલાઇન્સના હેડ હતા. 2022માં તેઓ એર ઇન્ડિયા સાથે જોડાયા હતા. પરંતુ ત્યારે સિંગાપોર એરલાઇન્સનો એર ઇન્ડિયામાં કોઈ પ્રત્યક્ષ હિસ્સો ન હતો.
જાળવણી માટે ભાગીદારી
એર ઇન્ડિયાએ બેંગ્લુરુમાં બેઝ મેન્ટેનન્સ ફેસિલિટી વિકસિત કરવા માટે સિંગાપોર એરલાઇન્સની પેટા કંપની SIA એન્જિનિયરિંગ સાથે ભાગીદારી કરી હતી. આ ફેસિલિટી 2026 સુધી તૈયાર થવાનો આશાવાદ છે. જેમાં વાઇડ-બૉડી અને નેરો બૉડી વિમાનોની જાળવણીની સુવિધા હશે.