મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National News: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કટરા કોતવાલી વિસ્તારમાંથી હિચકારી હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે એક સિનિયર વકીલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વકીલ સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે બાઇક સવાર બે ગુનેગારોએ તેમની નજીક જઈને ગોળી મારી દીધી હતી. શૂટિંગ કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
વકીલ પર પોઈન્ટ ઝીરોથી ફાયરિંગ
આ ઘટના આજે શનિવારે સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. વરિષ્ઠ વકીલ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રાજીવ સિંહ ઉર્ફે રિંકુ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘરની સામે જ ટહેલી રહ્યા હતા, ત્યારે બાઇક સવાર બદમાશો તેમની પાસે પહોંચ્યા હતા. એક બદમાશ બાઇક પર બેસી રહ્યો હતો, જ્યારે બીજો બંદૂક લઈને તેમની પાસે ગયો અને દેશી તમંચાથી વકીલ પર પોઈન્ટ ઝીરોથી ફાયરિંગ કરી દીધું હતું. થોડી વારમાં જ વકીલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
હત્યારાઓની બાઇક સ્ટાર્ટ ન થઈ
આ કાળજું કંપાવી દે તેવી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જો કે ફાયરિંગ કર્યા બાદ જે આરોપી બાઇક પર બેઠો હતો તેનાથી બાઈક સ્ટાર્ટ થયું ન હતું. ત્યારબાદ ગોળી મારનાર આરોપીએ પોતે બાઈકનું હેન્ડલ સંભાળ્યું અને તેને સ્ટાર્ટ કરી. લોકો તેમને પકડવા જઈ રહ્યા હતા, પરંતુ પાછળ બેઠેલા વ્યક્તિએ બંદૂક તાણી અને ધમકી આપતા આરોપીઓ હત્યા કરી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. જુઓ ઘટનાનો લાઈવ વીડિયો
કોણ હતા વકીલ રાજીવ સિંહ?
45 વર્ષના રાજીવ સિંહ મૂળ વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના દેવરી ગામના રહેવાસી હતા. પરંતુ વર્ષો પહેલા તેઓ કટરા કોતવાલી વિસ્તારના કતવારુ-કા-પુરામાં મકાન બનાવીને રહેવા લાગ્યા હતા. તેમના પત્ની પ્રતિભા સિંહ (40) ગામના સરપંચ છે. રાજીવ સિંહ અવારનવાર ગામની મુલાકાત પણ લેતા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રો ઓમ (18) અને સાર્થક (12) છે.
કોણ છે હત્યારો અને કેમ કરી હત્યા?
પોલીસે આરોપીની ઓળખ રાજેન્દ્ર સોનકર તરીકે કરી છે, જે હાલ ફરાર હોવાનું કહેવાય છે. આરોપી પણ કતવારુ-કા-પુરામાં વકીલના ઘરની પાસે જ ભાડે રહે છે. તે પોતે પણ વકીલ છે અને ગામમાં સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે. આ પહેલા પણ બંને વચ્ચે વિવાદ થયો હતો. મિર્ઝાપુરના SPએ જણાવ્યું હતું કે, આરોપીએ જૂની અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. સાત મહિના પહેલા પણ તેણે તમંચો કાઢીને રાજીવ સિંહ પર તાક્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.








