- ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2021, ગુરૂવાર
આખા દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે 23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? હકીકતમાં ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થતિમાં સુધારો લાવવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને આપવામાં આવ્યો છે. તેઓ પોતે ખેડૂત પરિવારમાંથી હોવાના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા જેના કારણે તેમણે ખેડૂતો માટે અનેક સુધારાના કામો કર્યા છે.
ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે
ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગરૂકતાથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે.
નવીનતમ શિક્ષણ સાથે ખેડૂતોને સશક્ત બનાવવાનો પ્રયત્ન
આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. ખેડૂત દિવસની ઉજવણી લકોને ખેડૂતો સામે આવતા અલગ-અલગ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે.
ખેડૂતો વગર જીવન મુશ્કેલ
એ જણાવવું જરૂરી નથી કે, આપણે ખોરાક વગર જીવી ન શકીએ અને મોટા ભાગનો ખોરાક ખેડૂતોએ ઉગાડેલા અનાજ, કઠોળ, ફળ અને શાકભાજીમાંથી જ મેળવીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરીને જે ઉગાડે છે તેનાથી જ આપણું પેટ ભરાય છે. ખેડૂતો ના હોય તો આપણું અસ્તિત્વ જ ના રહેશે. વિભિન્ન દેશોમાં ખેડૂત દિવસ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે જ મનાવવામાં આવે છે.


