India

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ

By GS TEAM
15 Feb 20262 mins read
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ

મોદી તે સમારંભમાં ઉપસ્થિત રહે, તે બહુ શક્ય લાગતું નથી

ભારત ઉપરાંત ચાયના, પાકિસ્તાન, સઉદી અરબ, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બુ્રની, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાનને પણ નિમંત્રણ

નવીદિલ્હી: તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું છે. તા. ૧૭મી ફેબુ્રઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ., કતાર, મલેશિયા, બુ્રની, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે.

ભૂમિગત વાસ્તવિકતા તે છે કે, વડાપ્રધાન મોદી, તે દિવસે ઢાકા જઈ શકે તેમ નથી. કારણ કે તેઓ તે દિવસે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુંબઈમાં મંત્રણા યોજવાના છે. તેથી નવી દિલ્હી વડાપ્રધાનને સ્થાને કોઈ વરિષ્ઠ મંત્રીને ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલશે, તેમ લાગે છે.

આ પૂર્વે શુક્રવારે જ વડાપ્રધાન મોદીએ રહેમાન સાથે ફોન ઉપર વાત કરી હતી, અને બી.એન.પી.ના વડાને તથા તેમની પાર્ટીને અદ્ભૂત સફળતા મેળવવા માટે અભિનંદનો પાઠવ્યાં હતાં. જેમાં તેઓએ કહ્યું હતું કે, બંને નિકટવર્તી પાડોશીઓ ઈતિહાસ અને સંસ્કૃતિના ઊંડા બંધનોથી બંધાયેલા છે. હું ભારત તરફથી બંને દેશો શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધે તેવી આશા રાખું છું અને બાંગ્લાદેશને સતત સાથ આપવાની પ્રતિબદ્ધતાની ખાતરી આપું છું.

બાંગ્લાદેશમાં યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ બે દશકના ગાળા પછી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે જેમાં ૨૯૯ બેઠકોમાંથી ૨૯૭ બેઠકોમાં જાહેર થયેલા પરિણામોમાં બીએનપીએ ૨૦૯ બેઠકો પ્રાપ્ત કરી છે. જમણેરી, કટ્ટરપંથી, જમાત-એ-ઈસ્લામીને માત્ર ૬૮ બેઠકો જ મળી છે.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગને આ ચૂંટણીમાં ભાગ લેવા પ્રતિબંધિત જાહેર કરાઈ હતી. 

મોડેથી મળતા સમાચાર પ્રમાણે તારિક રહેમાનના શપથવિધિ સમયે ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે.