BIG NEWS: સીઝફાયર બાદ પહેલીવાર એક મંચ પર હશે PM મોદી અને ટ્રમ્પ, ઈટાલી અને ફ્રાંસના નેતા પણ કેનેડા પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi G7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કનાનાસ્કિસમાં યોજાનારા G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સોમવારે સાયપ્રસથી કેનેડા જવા રવાના થશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ PM મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવામાં મધ્યસ્થી બન્યા હોવાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન કેનેડા પહોંચ્યા છે.
એક મંચ પર હશે મોદી-ટ્રમ્પ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર પીએમ મોદી 16-17 જૂનના G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. જેમાં તેઓ વિશ્વના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરશે. ઓપરેશન સિંદૂર બાદ ભારત અને અમેરિકા વચ્ચે બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં આ બંને નેતાઓની મુલાકાત મહત્ત્વની છે. ઉલ્લેખનીય છે, ઓપરેશન સિંદૂર બાદ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ભારતે આ દાવો ખોટો ઠેરવ્યો હતો. ટ્રમ્પે ભારતના સત્તાવાર નિવેદન પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા પર બંને દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. જો કે, ભારતનું કહેવું છે કે, તેણે પાકિસ્તાનની અપીલ બાદ સીઝફાયર કરવા સહમતિ દર્શાવી હતી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પણ ફરી ટ્રમ્પ બોલ્યા
ઈરાન-ઈઝરાયલ વચ્ચે છેલ્લા ચાર દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે ફરી એકવાર પોતાના જૂના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે, જે રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે, તે રીતે ઈઝરાયલ-ઈરાન વચ્ચે પણ સીઝફાયર કરાવીશ. તેમનો દાવો છે કે, વેપારનું પ્રેશર નાખી તેમણે ભારત અને પાકિસ્તાનને સીઝફાયર માટે મનાવ્યા હતાં.
આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે PM મોદી
G-7 સમિટમાં વડાપ્રધાન મોદી વિશ્વ સમક્ષ સીઝફાયર મુદ્દે ભારતનો પક્ષ જણાવી શકે છે. તેમજ આતંકવાદનો મુદ્દો ઉઠાવી ભારતની ઝીરો ટોલેરન્સ પોલિસી અને પાકિસ્તાનના પ્રોક્સી વૉરનો ઉલ્લેખ કરી શકે છે. ભારતે અગાઉ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો ભવિષ્યમાં કોઈ આતંકી હુમલો થાય છે તો, તેના માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે. ભારત હવે પ્રોક્સી વૉર નહીં કરે. તે સીધો જ હુમલો કરશે.









