'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ
લાંબા સમયથી ચર્ચામાં રહેલો વક્ફ સુધારો બિલ બુધવારે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યો છે. જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોએ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ શાસક ભાજપના સાથી પક્ષો, ખાસ કરીને જેઓ પોતાને ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો કહે છે, અને તેમના સાંસદોને વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા અને તેને લોકસભામાં પસાર ન થવા દેવાની અપીલ કરી છે.
AIMPLBએ ધર્મનિરપેક્ષ પક્ષોના સાંસદોને કોઈપણ સંજોગોમાં આ બિલના પક્ષમાં મતદાન ન કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને સાંસદોને આવી વિનંતી કરવામાં આવી છે. પર્સનલ લો બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભાજપના સાથી પક્ષો અને સાંસદો સહિત તમામ ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોને વક્ફ સુધારા બિલનો સખત વિરોધ કરવા અને કોઈપણ સંજોગોમાં તેના પક્ષમાં મતદાન ન કરવા અપીલ કરે છે.'
નિવેદનમાં શું કહેવામાં આવ્યું છે?
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ તમામ ધર્મનિરપેક્ષ પક્ષો અને સાંસદોને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલનો માત્ર સખત વિરોધ જ નહીં કરે પણ ભાજપના સાંપ્રદાયિક એજન્ડાને રોકવા માટે તેની વિરુદ્ધ મતદાન પણ કરે.'
નિવેદન અનુસાર, રહેમાનીએ આરોપ લગાવ્યો છે કે આ બિલ માત્ર ભેદભાવપૂર્ણ નથી પણ બંધારણના અનુચ્છેદ 14, 25 અને 26 હેઠળ મૂળભૂત અધિકારોની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે.
AIMPLB શેનાથી ડરે છે?
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બિલ દ્વારા ભાજપનો ઉદ્દેશ્ય વક્ફ કાયદાઓને નબળા પાડવાનો અને વક્ફ મિલકતોને જપ્ત કરવા અને નાશ કરવાનો માર્ગ મોકળો કરવાનો છે. બોર્ડના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂજા સ્થાનો અધિનિયમ હોવા છતાં, દરેક મસ્જિદમાં મંદિર શોધવાનો મુદ્દો સતત વધી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'જો આ સુધારો બિલ પસાર થશે, તો વકફ મિલકતો પર ગેરકાયદેસર સરકારી અને બિન-સરકારી દાવાઓમાં વધારો થશે, જેનાથી કલેક્ટરો અને જિલ્લા મેજિસ્ટ્રેટ માટે તેમને જપ્ત કરવાનું સરળ બનશે.'