એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
|
Mumbai to Chennai flight incident: અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે, જેમાં ફ્લાઈટને પરત કરવાની કે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હોય. ત્યારે ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટના કેબિનમાં 'સળગવાની ગંધ' આવવાને કારણે મુંબઈ પરત ફરવું પડ્યું હતું. એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો નીકળ્યો હોવાની આશંકાને પગલે ફાઈટ પરત ફરી હતી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'મુંબઈથી ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર AI 639 ને ગઈકાલે 27 જૂનના રોજ કેબિનમાં કઈક સળગવાની ગંધ આવવાને કારણે સાવચેતી રૂપે પરત ફરવું પડ્યું હતું. અમારી ગ્રાઉન્ડ ટીમે મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરીને બીજા વિમાનમાં ચઢવામાં મદદ કરી હતી. આ દરમિયાન, મુસાફરોને કોઈ સમસ્યા ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.'
આ પણ વાંચો: મુંબઈ આવતા ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાતા 300 મુસાફરોના જીવ પડીકે બંધાયા, 7 બીમાર
આ પહેલા દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે જમ્મુથી પરત ફરી હતી. 23 જૂનના રોજ એર ઈન્ડિયાની લંડનથી મુંબઈની ફ્લાઈટમાં કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર બીમાર થયા હોવાનું સામે આવ્યું હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, 'લંડન હીથ્રોથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર AI130માં પાંચ મુસાફરો અને બે ક્રૂ મેમ્બરે ફ્લાઇટમાં ચક્કર અને ઉબકાની ફરિયાદ કરી હતી. જ્યારે ફ્લાઈટને મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવી હતી. જ્યાં એર ઇન્ડિયાની તબીબી ટીમો તાત્કાલિક બીમાર લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા પૂરી પાડવા માટે તૈયાર હતી.'