મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઇકોર્ટના ચુકાદા સામે નોટિસ
Supreme Court On Mumbai Bomb Blast: સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી(જેમાં એક મૃતક એટલે કે કુલ 11)ને મુક્ત કરવાના બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે.
ફરી જેલમાં નહીં ધકેલાય...
સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે મુક્ત કરાયેલા કુલ 12 આરોપી(એક મૃતક આરોપી)ને ફરીવાર જેલમાં નહીં ધકેલાય. તેમની ધરપકડ નહીં કરી શકાય. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આરોપીઓની સ્વતંત્રતાનો સવાલ છે હું સતર્ક છું. તેની સામે કોર્ટે કહ્યું કે અમે નોટિસ ઇશ્યુ કરીશું.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ‘હું બોમ્બે હાઇકોર્ટના આદેશ સામે સ્ટે ઇચ્છું છું પણ તેમને ફરીવાર જેલમાં પુરવાનો મારો ઉદ્દેશ્ય નથી. તે પહેલાથી જ મુક્ત છે પણ મકોકા હેઠળ ચાલી રહેલા અન્ય કેસ પર તેની અસર થશે.’ તેની સામે કોર્ટે કહ્યું કે ‘અમને જણાવાયું છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવાયા છે એટલા માટે તેમને પાછા જેલમાં મોકલવાનો સવાલ જ નથી.’ ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 180થી વધુ લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બોમ્બે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
બોમ્બે હાઇકોર્ટે 11 જુલાઈ, 2006ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે 21 જુલાઈના રોજ સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. જ્યારે એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.
હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, 'આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.'