Get The App

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ 1 - image

- દેશભરમાં વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા

- બિહારમાં પ્રથમ વખત બેલેટ પેપર પર ઉમેદવારનો કલર ફોટો, મોટા ફોન્ટમાં નામ લખાશે : ગાઇડલાઇન

નવી દિલ્હી : બિહારમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી  છે. ચૂંટણી પંચ બિહારથી નવા પ્રયોગની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જે મુજબ ઇવીએમ બેલેટ પેપરમા હવે ઉમેદવારોની રંગીન ફોટો હશે, જ્યારે અત્યાર સુધી આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ રહેતી હતી. જ્યારે દેશભરમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે તેમાં અડધા મતદારોએ દસ્તાવેજો રજુ કરવાની જરૂર નહીં પડે.   

ચૂંટણી પંચ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ હવેથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમના બેલેટ પર ઉમેદવારોની રંગીન તસવીર છાપવામાં આવશે. હાલમાં આ પ્રયોગ બિહારમાં કરવામાં આવી રહ્યો છે, બાદમાં ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. સાથે જ ચહેરો યોગ્ય રીતે મતદારને દેખાય તે રીતે છાપવામાં આવશે. આ સુધારા મતદાનની પારદર્શિતાને વધારવા તેમજ મતદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. 

બિહારથી શરૂ થઇ રહેલા આ સુધારા બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. કલર ફોટાની સાથે જ ઉમેદવારનું નામ પણ મોટા અક્ષરોમાં છાપવામાં આવશે. છેલ્લા ૬ મહિનામાં ચૂંટણી પંચ દ્વારા ૨૮ જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં પારદર્શીતા લાવવાનો અને મતદારોની સુવિધા વધારવાનો છે. તમામ લોકો વાંચી શકે તે જ રીતે ઉમેદવારના નામ છાપવામાં આવશે. સાથે જ કલર તસવીર પ્રથમ વખત છાપવામાં આવી રહી છે.

બિહારમાં મતદારોના વેરિફિકેશન દરમિયાન દસ્તાવેજોને લઇને વિવાદ થયો હતો, એવામાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જો અન્ય રાજ્યોમાં આ વેરિફિકેશન કરવામાં આવશે તો તેવી સ્થિતિમાં મોટાભાગના રાજ્યોના મતદારોએ કોઇ જ દસ્તાવેજ રજુ કરવાની જરૂર નહીં રહે. અગાઉ જે વેરિફિકેશન થયું હોય તેને ધ્યાનમાં રાખીને મતદારોની યાદીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. આ પહેલા મોટાભાગના રાજ્યોમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન મતદારોનું વેરિફિકેશન કરવામાં આવી ચુક્યું હતું.