Get The App

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા 1 - image


મણિપુરમાં 833થી વધુ ઘરોને નુકસાન, પૂર્વોત્તરમાં 40થી વધુનાં મોત

આસામમાં એરફોર્સે ૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા, સિક્કિમમાં 1500થી વધુ પ્રવાસી ફસાયા

નવી દિલ્હી: પૂર્વોત્તર ભારતમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરે સતત બીજા દિવસે ભારે કેર મચાવ્યો છે. અસમમાં રવિવારે ૧૦ મોટી નદીઓ જોખમી સ્તરથી ઉપર વહેતા ૭૮,૦૦૦થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મૂશળધાર વરસાદના કારણે રાજ્યના ૧૫ જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે. પૂર્વોત્તરમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયા છે તેમજ અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે.

પૂર્વોત્તર ભારતમાં અસમ, અરૂણાચલ, સિક્કિમ, મણિપુર અને ત્રિપુરામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. અસમના બરઈગ્રામ-દુલ્લાબચેરા ખંડ પર ટ્રેકથી ઉપર પાણી વહેતા પ્રવાસી ટ્રેન વ્યવહરા ખોરવાઈ ગયો છે. રાજ્યમાં એસડીઆરએફ સહિત વિવિધ એજન્સીની ટીમો રાહત અને બચાવ કામમાં રોકાઈ છે. ભારતીય એરફોર્સે ખુરઈ હેઈક્રુમાખોંગમાં ૧૮૨ લોકોને એરલિફ્ટ કર્યા હતા. ઈમ્ફાલ પૂર્વ તથા પશ્ચિમના વિસ્તારોમાંથી ૪૦૮ લોકોને બહાર કાઢ્યા હતા.

મણિપુરમાં ૪૮ કલાકમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૩,૮૦૨ લોકો અસરગ્રસ્ત થયા છે જ્યારે ૮૩૩ ઘરોને નુકસાન થયું છે.

 ત્રિપુરામાં સતત થઈ રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્રિપુરામાં ૧,૩૦૦થી વધુ પરિવારોએ રાહત છાવણીમાં આશરો લેવાની જરૂર પડી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે અસમ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલને તેમના રાજ્યોમાં થઈ રહેલા ધોધમાર વરસાદનો સામનો કરવા શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, વરસાદના કારણે ભૂસ્ખલન થતાં મુખ્ય માર્ગમાં અવરોધો ઊભા થઈ ગયા છે. સિક્કિમમાં વરસાદના કારણે ૧,૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે.  અરૂણાચલ પ્રદેશમાં સરકારે છેલ્લા ૪૮ કલાકમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃતકોના પરિવારને ૪-૪ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ ભૂસ્ખલનના કારણે બે લોકોનાં મોત થયા હતા.

Tags :