India

ઈન્દોરમાં એકસાથે 20થી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પી જતાં અફરા-તફરી

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
ઇન્દોરના નંદલાલપુરા વિસ્તારમાં ચાલી રહેલા કિન્નરોના આંતરિક વિવાદને પગલે એક જૂથના 20થી વધુ કિન્નરોએ ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બુધવારે રાત્રે આ કિન્નરો તેમના ડેરા પરથી નીચે ઉતરીને હોબાળો કરવા લાગ્યા અને ત્યાર બાદ એકસાથે ફિનાઇલ પી લીધી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને ઓટોરિક્ષા તેમજ એમ્બ્યુલન્સની મદદથી તમામ કિન્નરોને એમવાય હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં એક કિન્નરની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્દોરમાં એકસાથે 20થી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પી જતાં અફરા-તફરી

Transgenders Consume Phenyl in Indore: ઇન્દોરના નંદલાલપુરા વિસ્તારમાં ચાલી રહેલા કિન્નરોના આંતરિક વિવાદને પગલે એક જૂથના 20થી વધુ કિન્નરોએ ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બુધવારે રાત્રે આ કિન્નરો તેમના ડેરા પરથી નીચે ઉતરીને હોબાળો કરવા લાગ્યા અને ત્યાર બાદ એકસાથે ફિનાઇલ પી લીધી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને ઓટોરિક્ષા તેમજ એમ્બ્યુલન્સની મદદથી તમામ કિન્નરોને એમવાય હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં એક કિન્નરની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

ઇન્દોરમાં કિન્નરોનો લાંબા સમયથી ચાલતો આંતરિક વિવાદ; SIT તપાસ અધૂરી

નંદલાલપુરામાં કિન્નરોના બે જૂથ વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના સમાધાન માટે મંગળવારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠી ઇન્દોર આવ્યા હતા અને તેમણે અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી. બીજી બાજુ, આ વિવાદના સંબંધમાં એક કિન્નરની ફરિયાદના આધારે પોલીસે બે મીડિયાકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસોથી ચાલી રહેલા કિન્નરોના આ વિવાદની તપાસ માટે અગાઉ એસઆઇટી (SIT) ની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ તે તપાસ પૂરી થઈ શકી નથી.

કિન્નરોના જૂથો વચ્ચે ધર્માંતરણ અને અન્ય વિવાદ

ફિનાઇલ પીધા પછી, એક જૂથના કિન્નરોએ નંદલાલપુરા ચોક પર ચક્કાજામ કર્યો, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કિન્નરોએ લાંબા સમય સુધી હંગામો ચાલુ રાખ્યો, ત્યારબાદ પોલીસે સમજાવટ કરીને ચક્કાજામ ખોલાવ્યો. અહીં નોંધનીય છે કે ઇન્દોરમાં સપના ગુરુનું એક જૂથ અને સીમા તથા પાયલ ગુરુનું બીજું જૂથ સક્રિય છે. આ બંને જૂથો વચ્ચે વારંવાર વિવાદ થતો રહે છે, જેમાં સપના ગુરુનું જૂથ અવારનવાર ધર્માંતરણના આરોપો પણ લગાવે છે. ભૂતકાળમાં પણ બંને જૂથો વચ્ચે વિવાદો થયા છે અને તેના સંબંધમાં કેસ પણ નોંધાયેલા છે.

કિન્નરોના ફિનાઇલના મામલે પોલીસની પ્રતિક્રિયા; હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ મામલે એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ માહિતી આપી હતી કે પંઢરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે લગભગ 20થી વધુ કિન્નરોએ કોઈ પદાર્થ પીધો હોવાની ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ફિનાઇલ હોવાનું સામે આવ્યું છે. હજુ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનું 'ગ્રીન' સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં 'ફટાકડા' ફૂટશે

તમામ અસરગ્રસ્તોની સારવાર એમવાય હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે. સીએમએચઓને તમામ અસરગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલમાં દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું અને પોલીસ પ્રશાસનની સતત દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ હોવાનું જણાવાયું છે. કિન્નરોએ કયા કારણોસર ઝેરી પદાર્થ પીધો તે અંગે હજી સ્થિતિ સ્પષ્ટ નથી અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે.

હોસ્પિટલમાં પણ હંગામો

જે કિન્નરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલા કિન્નરોએ હોસ્પિટલ પરિસરમાં પણ હંગામો કર્યો. સ્થળ પર પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. કેટલાક મીડિયાકર્મીઓ સાથે પણ કિન્નરોએ દુર્વ્યવહાર કર્યો છે.