Get The App

ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી 1 - image
AI Image

Private Companies Closed In India : ભારતમાં ખાનગી કંપનીઓ બંધ થવાનો મુદ્દો સોમવારે(1 ડિસેમ્બર) સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ 204,268 ખાનગી કંપનીઓ બંધ થઈ છે. કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ આંકડો પહેલી નજરે મોટો લાગે છે. જોકે, આમાંની મોટાભાગની કંપનીઓને મર્જર, રૂપાંતર, સ્વૈચ્છિક બંધ અને નિયમનકારી નિયમો હેઠળ લાંબા સમય સુધી નિષ્ક્રિયતાને કારણે રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી હતી. આ મામલે સરકારે કહ્યું કે, 'ચિંતાની વાત નથી...'

લેખિત જવાબમાં આપવામાં આવેલા ડેટા અનુસાર, વર્ષ 2024-25માં કુલ 20,365, વર્ષ 2023-24માં 21,181 અને વર્ષ 2022-23માં 83,452 ખાનગી કંપનીઓ બંધ થઈ છે. અગાઉ વર્ષ 2020-21માં 15,216 અને વર્ષ 2021-22માં 64,054 કંપનીઓ બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. 

2.04 લાખથી વધુ પ્રાઈવેટ કંપનીઓ બંધ

આમ છેલ્લા પાંચ વર્ષની અંદરમાં કુલ 2.04 લાખથી વધુ પ્રાઈવેટ કંપનીઓ બંધ થઈ છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કંપનીઓ બંધ થવાનું કારણ આર્થિક મંદી કે ઉદ્યોગ સંકટ જેવા એકતરફી કારણો નહોતા. ઘણી કંપનીઓ વ્યવસાય કરવા માંગતી ન હતી, કેટલીક મર્જર પછી બંધ થઈ ગઈ હતી, અને ઘણી કંપનીઓ વર્ષોથી નિષ્ક્રિય હોવાથી કંપની અધિનિયમ, 2013 હેઠળ દૂર કરવામાં આવી હતી. 

વર્ષ 2022-23માં સૌથી વધુ 82,125 કંપનીઓ બંધ કરાઈ હતી. આ વર્ષે સરકાર દ્વારા ઘણા સમયથી સક્રિય ન હોય તેવી કંપનીઓને બંધ કરી હતી. જ્યારે હાલના નાણાકીય વર્ષમાં 16 જુલાઈ સુધીમાં કુલ 8,648 બંધ કરવામાં આવી હતી. બીજી તરફ, બંધ કરવામાં આવેલા ખાનગી કંપનીઓના કર્મચારીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે કે કેમ, તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે, 'સરકાર સમક્ષ કોઈ દરખાસ્ત નથી.'

શું આ 'શેલ કંપનીઓ' હતી?

સંસદમાં એક સવાલ એ હતો કે શું બંધ કરાયેલી કંપનીઓ શેલ કંપનીઓ હતી અને શું તેનો ઉપયોગ મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. સરકારે જવાબ આપ્યો કે, કંપની કાયદામાં 'શેલ કંપની'ની કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી. જો કે, જ્યારે પણ કોઈ કંપની શંકાસ્પદ હોય છે અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવે છે, ત્યારે તેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે શેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને 'GPS સ્પૂફિંગ'નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત

શું સરકાર પછાત કે ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે ખાસ કર છૂટ આપવાની યોજના બનાવી રહી છે? તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તેની નીતિ દેશમાં એકસમાન, પારદર્શક અને સ્થિર કર વ્યવસ્થા બનાવવા માટે કર પ્રોત્સાહનો ઘટાડવા અને કર દરોને સરળ બનાવવાની છે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ કર ઘટાડા અને અન્ય મોટા સુધારાઓ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે.