મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ
- કોંગ્રેસ શાસનમાં અરૂણાચલની અવગણના કરાઈ
- વિકાસને લગતું મુશ્કેલ કાર્ય છોડી દેવાની કોંગ્રેસને વારસાગત ટેવ હોવાનું જણાવી પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર
ઇટાનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોઈપણ વિકાસલક્ષી કાર્ય મુશ્કેલ લાગતું હોય તેને છોડી દેવાનું કોંગ્રેસના વારસાગત ટેવ છે. તેમણે અરુણાચલ પ્રદેશમાં રૂ. ૫,૧૦૦ કરોડના વિકાસલક્ષી કાર્યક્રમોનું અનાવરણ કરતાં આ વાત જણાવી હતી. તે બે મેગા હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેની સાથે તેમણે જીએસટી રિફોર્મ્સની પણ પ્રશંસા કરી હતી.
કોંગ્રેસની ટીકા કરતાં તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસને વિકાસને લઈને હંમેશા અરૂણાચલ પ્રદેશની અવગણના કરી છે, કારણ કે રાજ્યમાં લોકસભાની ફક્ત બે જ સીટ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે દિલ્હીમાં બેઠાં-બેઠાં કંઈ ઉત્તરપૂર્વનો વિકાસ કરી ન શકાય. તેથી તેમણે પોતે પ્રધાનો અને અધિકારીઓને આ વિસ્તારોની નિયમિત મુલાકાત લેતા કર્યા છે. તેઓ પોતે ૭૦ જેટલી વખત ઉત્તરપૂર્વની મુલાકાત લઈ ચૂક્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની વારસાગત નબળાઈ છે. તે મુશ્કેલ હોય તેવું વિકાસલક્ષી કાર્ય હાથમાં લે છે અને પછી તેને ત્યજી દે છે. કોંગ્રેસની આ ટેવ ફક્ત અરૂણાચલ પ્રદેશ જ નહીં આખા ઉત્તરપૂર્વી ભારતને મોંઘી પડી છે. પર્વતીય અને જંગલોવાળા વિસ્તારોમાં વિકાસનું કામ હંમેશા પડકારજનક હોય છે. તેથી કોંગ્રેસ આ વિસ્તારોને પછાત વિસ્તારો જાહેર કરી દે છે અને પછી ભૂલી જાય છે, એવો દાવો તેમણે કર્યો હતો.
સેલા ટનલ એક સમયે જેના અંગે વિચાર પણ થઈ શકતો ન હતો. આજે તે અરૂણાચલ પ્રદેશનું ગૌરવ છે. હોલોંગી એરપોર્ટ રાજ્યને મળેલું નવું વિમાનીમથક છે અને તેના દ્વારા તેઓ સીધા દિલ્હી સાથે હવાઈ માર્ગે જોડાઈ ગયા છે. આ કનેક્ટિવિટી પ્રોજેક્ટના લીધે પ્રવાસન્ સુગમ થશે અને ખેડૂતોને ખેતપેદાશો મોટા માર્કેટમાં મોકલવામાં સુગમતા રહેશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રજાજનોએ ૨૦૧૪માં જ્યારે મને દેશની સેવા કરવાની તક આપી ત્યારે મેં પહેલું કામ દેશને કોંગ્રેસની માનસિકતામાથી મુક્ત કરાવવાનુ કર્યુ. અમારો મુખ્ય સિદ્ધાંત કોઈ રાજ્યમાં બેઠકો કે વોટ નથી, પરંતુ નેશન ફર્સ્ટ છે. મોદીએ તેવા લોકોની પૂજા કરી છે, જેને કોઈ પૂછતું પણ ન હતું. આથી જ કોંગ્રેસના શાસનમાં અવગણના પામેસું અરુણાચલ પ્રદેશ આજે વિકાસના મધ્યાહને છે. આજે અરૂણાચલ આગળ વધી રહ્યુ છે. નવા પાવર પ્રોજેક્ટ રાજ્યને અગ્રણી વીજ ઉત્પાદક બનાવશે, હજારો નોકરીઓનું સર્જન થશે અને પોષણક્ષમ ભાવે વીજળી મળશે.