India

અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન

By GS TEAM
20 Dec 20252 mins read
અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન

દેશનું પ્રથમ નેચર થીમ આધારિત ટર્મિનલ ખુલ્લુ મુકાયું

એરપોર્ટ પર કનેક્ટિવિટી વધશે જેનાથી ઉત્તરપૂર્વમાં આર્થિક વિકાસને ટેકો મળશે : ગૌતમ અદાણી

ગુવાહાટી: શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં લોકપ્રીય ગોપીનાથ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની ડિઝાઇનમાં આસામની સંસ્કૃતિ અને હેરિટેજના વારસાને આવરી લેવાયા છે. આ એરપોર્ટનું સંચાલન અદાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા.

નેચર (કુદરત)ની થીમ પર આ આખુ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે, આવી થીમ પર તૈયાર થનારુ આ પ્રથમ એરપોર્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટની પાછળનો કુલ ખર્ચ ૫૦૦૦ કરોડ રૂપિયા છે જેમાંથી ૧૦૦૦ કરોડ રૂપિયા વિશેષ દેખરેખ, મેઇન્ટેનન્સ, રિપેરિંગ માટે જ ફાળવાયા છે. આ ટર્મિનલ વર્ષે આશરે ૧૩૦ લાખ મુસાફરોને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે. 

આ પ્રોજેક્ટને ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. દ્વારા તૈયાર કરાયો છે જેના ઓપરેશનની આગેવાની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ની પાસે છે. અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણીએ આ ટર્મિનલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પ્રાંતના વિકાસ માટે આ નવુ ટર્મિનલ મહત્વની ભૂમિકા ભજવશે. પર્યટનની સાથે હવે ગુવાહાટી ઔદ્યોગિક વિકાસમાં પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેના પર સમગ્ર નજર નાખી હતી. સાથે જ તેમણે એરપોર્ટ મોડેલની પણ ચકાસણી કરી હતી. એરપોર્ટના નવા ટર્મિનલના બાંધકામ સાથે જોડાયેલા વર્કર્સની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. આ એરપોર્ટને ગોપીનાથ બોરદોલોઇ નામ આપવામાં આવ્યું છે, ગોપીનાથ આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.