Get The App

મોદીએ જી-7 સમિટમાં જવાની સ્પષ્ટ ના પાડી

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
મોદીએ જી-7 સમિટમાં જવાની સ્પષ્ટ ના પાડી 1 - image


- ખાલિસ્તાનીઓને સમર્થન આપતાં કેનેડાને તેમની જ ભાષામાં જવાબ અપાશે

- ભારત સાથે સંબંધો સુધારવાની વાતો છતાં ખાલિસ્તાનીઓને કાર્ની સરકારના સમર્થનથી નારાજ કેન્દ્ર સરકારની કટ્ટરવાદીઓ સામે પગલાં લેવા માગ

- કેનેડા સાથે ટેરિફ વોર વચ્ચે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમિટમાં હાજર રહેશે : વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા

- આલ્બર્ટમાં 15થી 17 જૂને સમિટનું આયોજન

નવી દિલ્હી/ટોરંટો : જી-૨૦ પછી સૌથી શક્તિશાળી ગણાતા સંગઠન જી-૭ની આ વખતની સમિટ કેનેડામાં યોજાવા જઇ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લી લગભગ તમામ જી-૭ સમિટમાં જોડાઇ ચુક્યા છે. જોકે કેનેડામાં યોજાવા જઇ રહેલી આ વખતની સમિટમાં તેઓ હાજર ના રહે તેવા અહેવાલો છે. જી-૭ દેશોમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, યુરોપિયન યુનિયન જેવા આર્થિક રીતે સંપન્ન દેશો સામેલ છે. છેલ્લી લગભગ તમામ સમિટમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યા છે, પરંતુ આ વખતે કેનેડાના ખાલિસ્તાનીઓ પ્રત્યેના નરમ વલણને ધ્યાનમાં રાખીને મોદી આ સમિટમાં ના જોડાય તેવા અહેવાલો છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસે અગાઉ જાહેરાત કરી હતી કે જી-૭ સમિટ કેનેડામાં યોજાઇ રહી હોવા છતા પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. કેનેડા અને અમેરિકાની વચ્ચે પણ ટેરિફ વોર ચાલી રહી છે. જોકે તેમ છતા કેનેડાએ અમેરિકાને આમંત્રણ આપવું પડયું છે. સપ્તાહ પહેલા કેનેડાએ જી-૭ સિવાયના દેશોને સમિટમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું જેમાં ઓસ્ટ્રેલિયા, યુક્રેનનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટોની આલ્બાનીઝ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જી-૭ સમિટમાં ભાગ લેવા કેનેડા જશે. કદાચ કેનેડા ભારતને આમંત્રણ મોકલે તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતની સમિટમાં હાજર ના રહે તેવા રિપોર્ટ છે. કેમ કે કેનેડાએ ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠનો સામે યોગ્ય કાર્યવાહી નથી કરી અને તેને વધુ પ્રોત્સાહન આપ્યું છે. 

ભારત જી-૭નો સભ્યદેશ ના હોવા છતા પણ તાજેતરની  છેલ્લી લગભગ તમામ સમિટમાં ભારતને આમંત્રણ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૯થી દર વર્ષે જી-૭ સમિટમાં ભાગ લેતા આવ્યા છે. કેનેડામાં માર્ક કર્નીની સરકાર બન્યા બાદ કેનેડાએ ભારત સાથે સંબંધોમાં સુધારો કરવા પર ભાર મુક્યો હતો, તાજેતરમાં જ કેનેડાના નવા વિદેશમંત્રી અનીતા આનંદે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બન્ને દેશો વચ્ચેના સંબંધ પાટા પર આવી રહ્યા છે. પરંતુ ખાલિસ્તાની સંગઠનો ફરી સક્રિય થઇ ગયા છે. કદાચ કેનેડા ભારતને આમંત્રણ મોકલે તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ સમિટમાં ભાગ નહીં લે. જેનું મુખ્ય કારણ કેનેડાનું ખાલિસ્તાનીઓ તરફી નરમ વલણ માનવામાં આવે છે. ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારાના પ્રયાસો થઇ રહ્યા છે તેના પર કેનેડા ખાલિસ્તાનીઓ સામે ઝૂકીને ખુદ પાણી ફેરવી રહ્યું છે.

Tags :