Get The App

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું - તાત્કાલિક FIR નોંધો

Updated: Apr 18th, 2025

GS TEAM

Google News
Google News
સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું - તાત્કાલિક FIR નોંધો 1 - image

Tamilnadu Minister Ponmudi News : તમિલનાડુ સરકારના મંત્રી પોનમુડીની મુસીબતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિંદુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલાને ગંભીરતાથી લેતા મદ્રાસ હાઈકોર્ટે તેમની સામે તાત્કાલિક FIR નોંધવાનો આદેશ આપ્યો છે. 



આ સિવાય કોર્ટે ડીજીપી પાસેથી એક્શન રિપોર્ટ માંગ્યો છે. એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને કહ્યું કે, જો તમે એફઆઈઆર દાખલ નહીં કરો તો કોર્ટ વહીવટીતંત્ર વિરુદ્ધ સુઓ મોટુ હાથ ધરશે અને અવમાનનાની કાર્યવાહી કરશે. 

પોનમુડી પર શૈવ અને વૈષ્ણવો વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેમણે સનાતન તિલકની તુલના સેક્સ પોઝિશન સાથે કરી હતી. મંત્રીએ પોતાના નિવેદન માટે માફી પણ માંગી હતી. ન્યાયાધીશે કહ્યું કે આ મામલે અલગ-અલગ એફઆઈઆર દાખલ કરવાને બદલે માત્ર એક જ એફઆઈઆર દાખલ કરવી જોઈએ. અપ્રમાણસર સંપત્તિના કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ મંત્રી વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.

મંત્રીનો વીડિયો કોર્ટમાં ચલાવાયો 

ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં પોનમુડીના ભાષણનો વીડિયો રજૂ કરાયો હતો. જે સાંભળી કોર્ટે કહ્યું કે મંત્રીનું નિવેદન ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.  મંત્રી પદ પર રહેલા વ્યક્તિએ આવા નિવેદન ન કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે પોનમુડીના શબ્દો ધનુષમાંથી છૂટેલા તીર જેવા હતા. હવે માફી માંગવાનો કોઈ અર્થ નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ અન્ય વ્યક્તિએ આવું નિવેદન આપ્યું હોત તો તેની સામે અત્યાર સુધીમાં 50 કેસ નોંધાયા હોત.

કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી 

ન્યાયાધીશે કહ્યું, ભ્રષ્ટાચાર સહન કરી શકાય નહીં. તેવી જ રીતે, દ્વેષપૂર્ણ ભાષણ પણ અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું કે અભિનેત્રી કસ્તુરી, ભાજપ નેતા એચ રાજા અને અન્નામલાઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો ફરિયાદ ન નોંધાય તો પણ નફરત ફેલાવવાના કેસમાં કેસ નોંધવો જોઈએ. તમને જણાવી દઈએ કે વિવાદ વધ્યા બાદ ડીએમકેએ પોનમુડીને ડેપ્યુટી જનરલ સેક્રેટરીના પદ પરથી હટાવ્યા હતા. તેઓ હાલ તમિલનાડુ સરકારમાં વન મંત્રી છે.