ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ
- સ્વીટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર તૂટી પડતાં આખું ગામ સાફ થઈ ગયું, વૈશ્વિક તાપમાનમાં ૨.૭ ટકાનો વધારો ચિંતાજનક
- ગ્લોબલ વોર્મિંગ અંગે દુનિયાની વર્તમાન નીતિઓ યથાવત રહેશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં હિમાલયનો ૭૫ ટકા બરફ પીગળી જશે
- તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખીને ૫૪ ટકા ગ્લેશિયરને સુરક્ષિત રાખી શકાશે
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પેરિસ સમજૂતીમાંથી બીજી વખત પીછેહઠ કરીને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધાર્યું
કાઠમંડુ: ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયામાં હિમશીખરો પીગળી રહ્યા છે, જેને પગલે વૈજ્ઞાાનિકોએ દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખવામાં નહીં આવે તો ગ્લેશિયરને પીગળતા રોકી શકાશે નહીં. સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર તૂટી પડતાં બ્લેટેન નામનું એક આખું ગામ સાફ થઈ ગયું. આ ભયાનક કુદરતી દુર્ઘટના પછી દુનિયામાં ફરી એક વખત ગ્લોબલ વોર્મિંગની અસરોની ચર્ચા થવા લાગી છે. નવા અભ્યાસ મુજબ તાપમાનમાં વધારાના કારણે સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલય પરથી ૭૫ ટકા બરફ પીગળી શકે છે, જેને પગલે ૨૦૦ કરોડથી વધુ લોકો સુધી પાણી પહોંચાડતી નદીઓનો પાણીનો સ્રોત ખોરવાઈ જશે અને ભારત સહિત છ દેશો પર વિનાશક આફત તોળાઈ શકે છે.
સ્વિટ્ઝર્લેન્ડમાં બરફાચ્છાદિત બિએત્શહોર્ન પર્વતો વચ્ચે લોત્શેન્ટલ ખીણમાં બ્લેટેન નામનું સુંદર ગામ આવેલું હતું, પરંતુ બુધવારે હિમાચ્છાદિત પર્વત પરથી ગ્લેશિયરનો એક વિશાળ ભાગ તૂટી પડતાં બ્લેટેન ગામ બરફ, કિચડ અને ખડકાળ પથ્થરોના કાટમાળમાં દટાઈ ગયું. જોકે, આ દુર્ઘટના પહેલાં જ અહીં વસતા ૩૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા, પરંતુ ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાએ ફરી એક વખત માનવ સર્જિત ગ્લોબલ વોર્મિંગ એટલે કે જળવાયુ પરિવર્તનના કારણે આવતી વિનાશક કુદરતી આફતો તરફ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સાયન્સ સામયિકમાં પ્રકાશિત એક નવા સંશોધન મુજબ વૈશ્વિક તાપમાન પૂર્વ ઔદ્યોગિક સ્તરની સરખામણીમાં ૨.૭ ડિગ્રી સે. સુધી વધી જશે તો ગ્લેશિયરનો ૭૫ ટકા બરફ પીગળી જશે. એવામાં તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખીને ૫૪ ટકા ગ્લેશિયરને સુરક્ષિત રાખી શકાશે.
આ સંશોધન મુજબ હિન્દુ કુશ હિમાલયમાં સદીના અંત સુધીમાં ૭૫ ટકા બરફ પીગળી શકે છે. વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રીથી વધુ વધતું રહેશે તો ૨૦૦ કરોડ લોકોને પાણી આપતી નદીઓનો સ્રોત ખોરવાઈ જશે. જળવાયુ પરિવર્તન અંગે દુનિયાની વર્તમાન નીતિઓ યથાવત રહેશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં દુનિયાનું તાપમાન ૨.૭ ડિગ્રી સે. સુધી વધી શકે છે.
હિન્દુ કુશ હિમાલયને દુનિયાનો ત્રીજો ધૂ્રવ કહેવાય છે, કારણ કે અહીં એન્ટાર્કટિકા અને આર્કટિક પછી બરફનો સૌથી વધુ ભંડાર છે. આ ક્ષેત્ર ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ, કાબુલ જેવી દુનિયાની ૧૦ મુખ્ય નદીઓનો પાણીનો સ્રોત છે. આ નદીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને ચીન જેવા દેશો માટે જીવન રેખા છે. બરફ પીગળવાથી આ દેશોમાં પાણી, ખેતી અને ઊર્જા પર સંકટ આવી શકે છે.
વર્ષ ૨૦૧૫ની પેરિસ સમજૂતીમાં વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય રખાયું હતું, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં નવેમ્બર ૨૦૨૦માં આ સમજૂતીમાંથી પીછેહઠ કરી હતી. જોકે, બાઈડેન સરકાર ૨૦૨૧માં ફરી પેરિસ સમજૂતીમાં જોડાઈ હતી, પરંતુ ટ્રમ્પ ફરી સત્તા પર આવતા તેમણે ફરી પેરિસ સમજૂતીમાં પીછેહઠ કરી છે, જે ૨૭ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. આમ, ટ્રમ્પે બીજી વખત પેરિસ સમજૂતીમાંથી પીછેહઠ કરીને તેમજ જળવાયુ પરિવર્તનની ચિંતા કર્યા વિના અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાનો આદેશ આપીને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધારી દીધું છે.
અમેરિકાના આ વલણ સામે વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત નહીં રાખી શકાય તો હિન્દુ કુશ હિમાલય, આલ્પ્સ, રૉકીઝ અને આઈસલેન્ડમાં બરફ પીગળશે, જેને પગલે નદીઓમાં પહેલાં પૂર આવશે અને પછી પાણીની અછત સર્જાશે. બીજીબાજુ બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર પણ વધી જશે, જેનાથી દરિયા કિનારાના શહેરોમાં પણ પૂરનું જોખમ વધી જશે.