Get The App

એન્ટાર્કટિકાનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે, અભ્યાસમાં ચોંકાવનારો દાવો

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
એન્ટાર્કટિકાનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે, અભ્યાસમાં ચોંકાવનારો દાવો 1 - image

Report on Snow : એક અભૂતપૂર્વ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી મોટા પ્રમાણમાં ફસાયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકે છે, જે અગાઉના અનુમાન કરતાં ઘણી ઝડપથી ગ્લોબલ વોમગને વેગ આપી શકે છે. આ તારણો સૂચવે છે કે એક મહત્વપૂર્ણ સમુદ્રી કાર્બન-ટ્રેપિંગ સિસ્ટમ - જે છેલ્લા હિમયુગના અંતમાં તૂટી પડી હતી તેવી જ સિસ્ટમ ફરીથી ડગમગી રહી છે. દક્ષિણ મહાસાગરમાં તાપમાન સતત વધી રહ્યું હોવાથી, ગ્રહ એક ખતરનાક ટિપિંગ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યો છે જે તેના કુદરતી આબોહવા સંતુલનને બગાડશે.

વિજ્ઞાનીઓની ચેતવણીઃ એન્ટાર્કટિકનું કુદરતી કવચ નબળુ પડતા ફરી ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે

લગભગ 17 હજાર વર્ષ પહેલાં હિમયુગના અંત સમયે, એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી સદીઓથી સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઈડને ઊંડે સુધી વહન કરનાર ગાઢ, બર્ફીલા પ્રવાહ એન્ટાર્કટિક બોટમ વોટરની રચના નબળી પડી ગઈ હતી. આ કાર્બન પંપ ધીમો પડવાથી વાતાવરણમાં વિશાળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થયું હતું જેના પરિણામે તાપમાનમાં નાટયાત્મક વધારો થતા માત્ર થોડા હજાર વર્ષોમાં હિમયુગ સમાપ્ત થઈ ગયો હતો જેને ભૂવૈજ્ઞાાનિક દ્રષ્ટિએ અત્યંત ઝડપી પરિવર્તન ગણી શકાય.

હવે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાાની ચેન્ગફીહીની આગેવાની હેઠળના સંશોધકોએ આ ઐતિહાસીક પરિવર્તનના સગડ મેળવવા દરિયાઈ કાંપના રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કર્યો છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત તેમના અભ્યાસથી જાણકારી મળે છે કે એન્ટાર્કટિક તેમજ ઉત્તરી એટલાંટિક, બંને ઊંડા પાણીની સીસ્ટમો એકસાથે નબળી  પડી ગઈ જેના કારણે વિશાળ કાર્બન ભંડાર મુક્ત થયો જેનાથી ગ્લોબલ વોર્મિંગને વેગ મળ્યો.

ચિંતાજનક બાબત છે કે વર્તમાન અવલોકનો અનુસાર આ સ્થિતિ ફરી સર્જાઈ રહી છે. જેમ જેમ દક્ષિણ મહાસાગર ગરમ થઈ રહ્યો છે અને એન્ટાર્કટિક બરફ પીગળી રહ્યો છે, તેમ તેમ એન્ટાર્કટિક બોટમ વોટરનું નિર્માણ ફરી ધીમું થઈ રહ્યું છે. આનાથી સમુદ્રની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ઘટી જતા તે ફરી વાતાવરણમાં મુક્ત થઈ શકે છે અને વૈશ્વિક આબોહવા પ્રણાલીઓને વધુ અસ્થિર બની શકે છે.

વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે આ કાર્બન સ્વિચ પૃથ્વીના કુદરતી જળવાયુ સંતુલન માટે સૌથી મોટા જોખમ પૈકી એક છે. એન્ટાર્કટિક પીગળવાથી સમુદ્ર સ્તર વધવા ઉપરાત તેનાથી ધરબાયેલો કાર્બન ભંડાર બહાર નીકળી શકે છે જેણે હજારો વર્ષથી પૃથ્વીના તાપમાનને સ્થિર રાખ્યું છે.