Fire Breaks Out In Train, Ujjain : મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આજે રવિવારે (6 એપ્રિલ, 2025) સાંજના 5 વાગ્યાની આસપાસ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. છત્તીસગઢના બિલાસપુર જઈ રહેલી ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળ નજીક લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કૂબુ મેળવ્યું હતું. જ્યારે ટ્રેન દુર્ઘટનાને પગલે રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.
છત્તીસગઢના બિલાસપુર જઈ રહેલી ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, ભારતીય રેલવેના PROએ જણાવ્યું હતું કે, 'બિકાનેરથી બિલાસપુર જઈ રહેલી ટ્રેનમાં ઉજ્જૈન પાસે પાવર કાર કેબિનમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક બોલાવી દેવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.'
પ્રત્યક્ષદર્શિયોના જણાવ્યું મુજબ, બિલાસપુર-બિકાનેર એક્સપ્રેસ (20846) ટ્રેનના ડબ્બામાં અચાનક વિસ્ફોટ થયો અને ચારે બાજુ ધુમાડો ફેલાયો હતો. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો આગ જોઈને કોઈ મુસાફર ટ્રેનમાંથી કૂદી પડ્યો હોત તો જાન અને માલનું જોખમ હોત, પરંતુ આવી કોઈ દુર્ઘટના બની નથી.


