ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના સ્વાસ્થ્ય પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર 2018, શનિવાર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના સ્વાસ્થ્ય પર કોંગ્રેસે ફરીવાર સવાલ ઉઠાવતા કહ્યું કે, મુખ્યમંત્રી પહેલાં પોતાનું ફિટનેસ સર્ટીફિકેટ આપે પછી કામ કરે. ગોવામાં મુખ્યમંત્રી ગેરહાજર રહેવા અને તેમની કેબિનેટના બે સહકર્મીઓની હોસ્પીટલમાં ભરતી થવાની વાત કરતા કોંગ્રેસના નેતાઓએ રાજ્યરપાલના હસ્તક્ષેપની માંગ કરી.
વિપક્ષે કહ્યું કે, પારીકરને કામ પર પરત આવતા પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ આપવું જોઇએ. મુખ્યમંત્રીને ક્યાં પ્રકારની બિમારી છે તે વિશે જાણી શકાયું નથી. જ્યારે, બે અન્ય મંત્રી ગંભીર બિમારીના કારણે હોસ્પીટલમાં એડમિટ છે. પારિકર ગુરુવારે જ અમેરીકાથી ઘરે પરત આવ્યા છે. તેઓ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ત્યાં ઇલાજ માટે ગયા હતા.
આ અગાઉ પણ મનોહર પારિકર ઇલાજ માટે અમેરીકામાં ત્રણ માસ સુધી રહ્યાં હતા. તેને કયા પ્રકારની બિમારી છે તે અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે તેમની બિમારીનો ઇલાજ ચાલી રહ્યો છે તે જણાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ આ અંગે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. જે બાદ કોંગ્રેસ કમિટિના સચિવ ચેલ્લાકુમારે કહ્યું કે, રાજ્યમાં સરકાર ધ્વંસ થઇ ગઇ છે. આવી સ્થિતીમાં રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા અને રાજ્યના વહીવટને સામાન્ય કરવાની આશા છે. મુખ્યમંત્રી ઇલાજ માટે અમેરીકા જાય છે. પરંતુ તેમને કયા પ્રકારની બિમારી છે તેનો રાજ્ય સરકારે લોકો વચ્ચે ખુલાસો કર્યો નથી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે રાજ્યપાસ પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી પરંતુ તેમણે કોઇ પગલાં ભર્યા નહી. સાથે જ તેમણે માંગ કરી કે, પારીકર કામ પર પરત ફરતાં પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ આપે.