India

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેનો વંશીય સંઘર્ષ હજુ શમ્યો નથી ત્યાં હવે નાગા અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે ઉખરુલ જિલ્લામાં થયેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જેનાથી રાજ્યમાં તણાવની સ્થિતિ વધુ ઘેરી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી

Manipur News | મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેનો વંશીય સંઘર્ષ હજુ શમ્યો નથી ત્યાં હવે નાગા અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે ઉખરુલ જિલ્લામાં થયેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જેનાથી રાજ્યમાં તણાવની સ્થિતિ વધુ ઘેરી બની છે.

સીનાકેઈથેઈ ગામ પાસે હિંસા

વહેલી સવારે તાંગખુલ નાગા અને કુકી સમુદાયના સશસ્ત્ર જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ અથડામણમાં 29 વર્ષીય તાંગખુલ યુવક હોરશોકમી જમાંગનું મોત નીપજ્યું હતું. આ સિવાય ત્રણ નાગરિકો ઘાયલ થયા છે.

મુલ્લમ ગામમાં હુમલો

આ ઘટનાના થોડા સમય બાદ કુકી બહુલ વિસ્તાર એવા મુલ્લમ ગામમાં પણ ગોળીબાર થયો હતો. જેમાં લેતલાલ સિતલ્હો અને પાઓમિનલુન હાઓલાઓ નામના બે કુકી યુવકોના મોત થયા છે.

ઘરોમાં આગચંપી

કુકી ઑર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇઈટ્સ ટ્રસ્ટનો દાવો છે કે મુલ્લમ અને સોંગફાલ ગામોમાં કેટલાક ઘરોને પણ આગ ચાંપવામાં આવી છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને તણાવ

નાગા સંગઠન 'તાંગખુલ નાગા લોંગ' (TNL) એ આરોપ લગાવ્યો છે કે કુકી ઉગ્રવાદીઓએ નાગા વિલેજ ગાર્ડ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. બીજી તરફ, મુલ્લમ ગ્રામ સત્તામંડળે આરોપ લગાવ્યો છે કે તાંગખુલ ઉગ્રવાદીઓએ સવારે 5:30 વાગ્યે તેમના ગામ પર હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી 2026થી ઉખરુલ વિસ્તારમાં તાંગખુલ અને કુકી સમુદાયો વચ્ચે સતત અવિશ્વાસ અને તણાવ વધી રહ્યો છે.

સુરક્ષા વધારવામાં આવી

વિસ્તારમાં સ્થિતિ ગંભીર બનતા વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ બંને સમુદાયો વચ્ચે વધતી જતી ખાઈ શાંતિના માર્ગમાં મોટો અવરોધ બની રહી છે.