'મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને...', બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ MLAનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Humayun Kabir Suspend By TMC : પશ્ચિમ બંગાળમાં 'બાબરી' જેવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને વિવાદમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધા જ મુખ્યમંત્રી મમતા બેનરજી સામે મોરચો માંડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે 2026ની વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બની શકશે નહીં. મસ્જિદના શિલાન્યાસની જાહેરાત બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કબીરે હવે પોતાની અલગ પાર્ટી બનાવવાનો પણ સંકેત આપ્યો છે.
મમતા બેનરજી સામે તાક્યું નિશાન
પત્રકારો સાથે વાત કરતા, કબીરે કહ્યું, "મુખ્યમંત્રીને હવે પૂર્વ મુખ્યમંત્રી બનવું પડશે. 2026માં મુખ્યમંત્રી ફરીથી મુખ્યમંત્રી નહીં રહે. તેઓ શપથ નહીં લે અને પૂર્વ મુખ્યમંત્રી કહેવાશે." તેમણે શુક્રવારે TMCમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી કે તેઓ 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી દેખાતી મસ્જિદનો શિલાન્યાસ કરશે. આ વિવાદાસ્પદ જાહેરાત બાદ, રાજ્યની સત્તાધારી પાર્ટી TMCએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારે તેઓ મુખ્યમંત્રીની SIR-વિરોધી રેલીના મંચ પર જ બેઠા હતા, જ્યાં તેમને પાર્ટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કબીરે આને પોતાનું "જાણીજોઈને કરાયેલું અપમાન" ગણાવ્યું હતું.
નવી પાર્ટી બનાવવાની તૈયારી અને ખુલ્લી ચેતવણી
પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ, કબીરે બળવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, "જો જરૂર પડશે તો હું 22 ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરીશ." તેમણે દાવો કર્યો કે તેમનું નવું સંગઠન આગામી વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 135 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે 6 ડિસેમ્બરનો શિલાન્યાસ કાર્યક્રમ રદ નહીં થાય અને તેમાં લાખો લોકો જોડાશે. તેમણે કહ્યું, "જો પ્રશાસન અમને રોકવાનો પ્રયાસ કરશે, તો NH-12 જામ કરવામાં આવી શકે છે." કબીરે એવી પણ આશંકા વ્યક્ત કરી કે તેમને ચૂપ કરાવવા માટે તેમની હત્યા પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય કબીરના આ નિર્ણયથી મુખ્યમંત્રી મમતા બેનરજી અત્યંત નારાજ છે અને પાર્ટીએ આ નિર્ણયથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી લીધા છે.









